- એપ્રિલના આરંભે જન્મોત્સવની રોનક, મહાવીર, હાટકેશ્વર, હનુમાન જયંતીની તૈયારી
- મંગળવારે મહાવીર જયંતીએ જૈન સંઘોમાં ચૈત્ય પરિપાટી સહિતનાં આયોજનો
- ગુરુવારે ચૈત્રી પૂનમે હનુમાન મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનોની ભરમાર
આદ્યશક્તિની સાધના, ઉપાસના અને ધાર્મિક અનુષ્ઠાનો સાથે ચૈત્રી નવરાત્રિ પર્વનું સમાપન થયું છે. હવે એપ્રિલ માસના આરંભે પ્રથમ અઠવાડિયામાં જ જન્મોત્સવની રોનક જોવા મળશે. મહાવીર જયંતી, હાટકેશ્વર જયંતી, હનુમાન જયંતી સહિતના ધાર્મિક પર્વોને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંગળવારે મહાવીર જયંતીએ જૈન સંઘોમાં ચૈત્ય પરિપાટી સહિતના આયોજનો કરાયા છે. જ્યારે ગુરુવારે ચૈત્રી પૂનમે હનુમાન જયંતીને પગલે મંદિરોમાં હવન, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના ધાર્મિક અનુષ્ઠાનોની ભરમાર જોવા મળશે.
એપ્રિલ માસના પ્રથમ અઠવાડિયામાં શનિવારે કામદા એકાદશી, રવિવારે વિષ્ણુદમનોત્સવ બાદ મંગળવારે મહાવીર જયંતી જન્મકલ્યાણકની ઉજવણી થશે. મંગળવારે જ નૃસિંહ દોલોત્સવ, બુધવારે શિવદમનોત્સવ, હાટકેશ્વર જયંતી, વ્રતની પૂનમ ઉજવાશે. ગુરુવારે ચૈત્રી પૂર્ણિમા સાથે જ હનુમાન જયંતી, બહુચરાજીનો મેળો, આયંબિલ ઓળીનું સમાપન થશે. હાટકેશ્વર જયંતી, મહાવીર જયંતી અને હનુમાન જયંતીની ધાર્મિક સ્થાનો પર રંગારંગ ઉજવણી થશે.













