ગરુડ પુરાણમાં જણાવાયું છે કે મૃત્યુ પછી આત્મા માત્ર શરીર છોડતુ નથી, પરંતુ એક નિશ્ચિત યાત્રામાંથી પસાર થાય છે, જેમાં 13 દિવસનું વિશેષ મહત્વ હોય છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા સંસ્કારો આત્માની આગળની ગતિને પ્રભાવિત કરે છે. ચાલો જાણીએ કે તેરમાની વિધિ કેમ મહત્વપૂર્ણ છે અને આ 13 દિવસ દરમિયાન આત્મા વિશે શું માન્યતા છે.
મૃત્યુ પછી આત્માની પ્રથમ યાત્રા
કોઈ પરિજનના નિધન બાદ ઘરમાં ગરુડ પુરાણનું પાઠ કરવાની પરંપરા છે, જે પરિવાર અને આત્માને માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે કરવામાં આવે છે. તેના મુજબ, શરીરથી પ્રાણ નીકળ્યા પછી આત્માને યમદૂત યમલોક લઈ જાય છે, જ્યાં તેને તેના જીવનના કર્મોનો હિસાબ બતાવવામાં આવે છે. ત્યારબાદ આત્માને થોડા સમય માટે ફરી પૃથ્વી પર મોકલવામાં આવે છે, જેથી તે પોતાના અંતિમ સંસ્કારની ક્રિયાઓ જોઈ શકે અને પરિવાર સાથે જોડાયેલા અંતિમ પળોને અનુભવી શકે.
13 દિવસ સુધી પરિવાર પાસે રહે છે આત્મા
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી 13 દિવસ સુધી આત્મા પોતાના ઘર અને પરિજનોની આસપાસ રહે છે. તે પોતાના પ્રિયજનોના દુઃખ અને શોકને અનુભવે છે, પરંતુ તેમની સાથે વાતચીત કરી શકતી નથી. આ દરમિયાન આત્મા પોતાના જીવનના કર્મો પર વિચાર કરે છે અને મોહના બંધનમાં બંધાયેલી રહે છે.
પિંડદાનનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક માન્યતાઓ મુજબ આત્માની પરલોક યાત્રા મુશ્કેલ માનવામાં આવે છે. જેમ લાંબી યાત્રામાં ભોજન જરૂરી હોય છે, તેમ પિંડદાન આત્માને આગળની યાત્રા માટે શક્તિ આપે છે. આ વિધિ આત્માને યમલોકની કઠિન યાત્રામાં સહારો આપે છે અને તેને આગળ વધવામાં મદદ કરે છે.
તેરમાનું મહત્વ
13મા દિવસે કરવામાં આવતી વિધિ આત્માના મોહબંધનને સમાપ્ત કરવાનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા વિધિઓ પછી આત્માને આગળની યાત્રા માટે મુક્ત માનવામાં આવે છે. આ સંસ્કાર આત્માને આ લોકથી અંતિમ વિદાય આપવાની પ્રક્રિયા તરીકે માનવામાં આવે છે, જેથી તે પોતાની આગળની યાત્રા શરૂ કરી શકે.
આ પણ વાંચો: Khappar Yog 2026: મે મહિનામાં વિનાશકારી ખપ્પર યોગ, આ રાશિની વધશે મુશ્કેલી
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)