સૂર્યદેવને સમર્પિત આ ભવ્ય મંદિર તેની અદભૂત કોતરણી, વૈજ્ઞાનિક રચના અને શાનદાર સ્થાપત્યને કારણે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. આશરે 1000 વર્ષ જૂનું આ મંદિર ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ તરીકે જાણીતું છે.


શું છે મોઢેરા સૂર્ય મંદિરનો ઇતિહાસ?

ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર આ મંદિરનું નિર્માણ ઈ.સ. 1026-27 દરમિયાન સોલંકી (ચાલુક્ય) વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા કરાવવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે તે સમયગાળામાં આ મંદિર અદ્યતન સ્થાપત્ય અને સૂર્ય ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર હતું. મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે અને હાલમાં તે Archaeological Survey of India દ્વારા સંરક્ષિત સ્મારક છે.

મંદિરની સ્થાપત્ય કલા બનાવે છે તેને ખાસ

મોઢેરા સૂર્ય મંદિરની સૌથી મોટી વિશેષતા તેની વૈજ્ઞાનિક રચના છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે વિષુવ દરમિયાન ઉગતા સૂર્યના પ્રથમ કિરણો સીધા ગર્ભગૃહ સુધી પહોંચતા હતા. મંદિર મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્યકુંડ.

મંદિરની દિવાલો અને થાંભલાઓ પર દેવી-દેવતાઓ, અપ્સરાઓ, પશુ-પક્ષીઓ અને પૌરાણિક કથાઓની અતિસૂક્ષ્મ કોતરણી જોવા મળે છે. સૂર્યકુંડમાં આવેલા નાના-નાના મંદિરો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

અહીં પૂજા કેમ થતી નથી?

મોઢેરા સૂર્ય મંદિરમાં હાલમાં નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવતી નથી. તેને ઐતિહાસિક અને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. માન્યતા મુજબ સમયાંતરે થયેલા આક્રમણો અને અન્ય કારણોસર મંદિરનું મૂળ સ્વરૂપ પ્રભાવિત થયું હતું, ત્યારબાદ અહીં નિયમિત પૂજા બંધ થઈ ગઈ.

આ પણ વાંચો: Gemstone: મોતી ધારણ કરવુ આ રાશિ માટે ખુબ લકી, જાણીલો પહેરવાના નિયમ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: