પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન અને દાન જેવા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ સમય દરમિયાન પિતૃઓનું સ્મરણ અને વિધિપૂર્વક શ્રાદ્ધ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે અને અશ્વિન મહિનાની અમાસ(આસોમાસ) સુધી શ્રાદ્ધ કરવામાં આવે છે. વર્ષ 2026માં પિતૃપક્ષ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 10 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસ સાથે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન દરેક તિથિનું પોતાનું વિશેષ મહત્વ છે.

પિતૃપક્ષ 2026નું સંપૂર્ણ કેલેન્ડર

26 સપ્ટેમ્બર, શનિવાર: પૂર્ણિમા શ્રાદ્ધ

27 સપ્ટેમ્બર, રવિવાર: પ્રતિપદા શ્રાદ્ધ, એકમનું શ્રાદ્ધ

28 સપ્ટેમ્બર, સોમવાર: દ્વિતીયા શ્રાદ્ધ

29 સપ્ટેમ્બર, મંગળવાર: તૃતીયા શ્રાદ્ધ

30 સપ્ટેમ્બર, બુધવાર: ચતુર્થી અને પંચમી શ્રાદ્ધ

1 ઓક્ટોબર, ગુરુવાર: ષષ્ઠી શ્રાદ્ધ

2 ઓક્ટોબર, શુક્રવાર: સપ્તમી શ્રાદ્ધ

3 ઓક્ટોબર, શનિવાર: અષ્ટમી શ્રાદ્ધ( આઠમનો ક્ષય)

4 ઓક્ટોબર, રવિવાર: નવમી શ્રાદ્ધ (સૌભાગ્યવતીનું શ્રાદ્ધ)

5 ઓક્ટોબર, સોમવાર: દશમી શ્રાદ્ધ

6 ઓક્ટોબર, મંગળવાર: એકાદશી શ્રાદ્ધ, ઇન્દીરા એકાદશી

7 ઓક્ટોબર, બુધવાર: દ્વાદશી શ્રાદ્ધ, સન્યાસી શ્રાદ્ધ, રેટિયા બારસ

8 ઓક્ટોબર, ગુરુવાર: ત્રયોદશી શ્રાદ્ધ

9 ઓક્ટોબર, શુક્રવાર: ચતુર્દશી શ્રાદ્ધ, શસ્ત્રોથી મરેલાનું શ્રાદ્ધ, અકાળે મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ

10 ઓક્ટોબર, શનિવાર: સર્વ પિતૃ અમાવસ્યા શ્રાદ્ધ, મહાલય શ્રાદ્ધ

કઈ તિથિએ કરવું જોઈએ પિતૃઓનું શ્રાદ્ધ?

હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્વજનું જે દિવસે અવસાન થયું હોય, તે જ તિથિએ પિતૃપક્ષ દરમિયાન તેમનું શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનું અવસાન દ્વિતીયા તિથિએ થયું હોય તો પિતૃપક્ષની દ્વિતીયા તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ રીતે મૃત્યુની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવાની પરંપરા છે.

પિતૃપક્ષમાં નવમી તિથિનું પણ વિશેષ મહત્વ છે. નવમીના દિવસે કરવામાં આવતા શ્રાદ્ધને ‘માતૃ નવમી’ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા સહિત માતૃ પક્ષના પૂર્વજો માટે શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિના અવસાનની ચોક્કસ તિથિની જાણ ન હોય, તો તેનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે. 2026માં સર્વ પિતૃ અમાવસ્યા 10 ઓક્ટોબરે આવશે. આ દિવસે તમામ પિતૃઓનું સ્મરણ કરીને શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવાની પરંપરા છે.

ખાસ વાત એ છે કે 30 સપ્ટેમ્બર 2026ના રોજ ચતુર્થી અને પંચમી બંને તિથિનું શ્રાદ્ધ એક જ દિવસે રહેશે. તેથી જે પૂર્વજનું અવસાન ચતુર્થી અથવા પંચમી તિથિએ થયું હોય, તેમનું શ્રાદ્ધ 30 સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવશે.

આ રીતે પિતૃપક્ષ 2026માં પૂર્વજોના સ્મરણ, શ્રાદ્ધ, તર્પણ અને દાન માટે મહત્વપૂર્ણ સમયગાળો રહેશે. ધાર્મિક વિધિ સ્થાનિક પંચાંગ અને પરિવારની પરંપરા અનુસાર કરવી યોગ્ય માનવામાં આવે છે.

આ પણ વાંચો: Grah Gochar: ચંદ્રમાં કરશે શ્રવણ નક્ષત્રમાં ગોચર, આ રાશિને આર્થિક લાભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)