હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને તેને બધી દુષ્ટ શક્તિઓથી દૂર રાખવા માટે તેને ઘરમાં રાખવું જરૂરી છે. તુલસીની પૂજા ગંગા સ્નાન જેટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કાર્તિક શુક્લ પક્ષની દ્વાદશી પછીના દિવસે ત્રયોદશીના દિવસે તુલસી વિવાહ ઉજવવામાં આવે છે, જ્યાં ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના તુલસી માતા સાથે લગ્ન થાય છે. જાલંધર વિશે, વૃંદા તુલસી કેવી રીતે બની અને તુલસી વિવાહની પૌરાણિક કથા વિશે જાણીએ.
કોણ હતા જાલંધર?
દંતકથા મુજબ ભગવાન શિવે એક વખત સમુદ્રમાં પોતાનું તેજ રેડ્યું હતું, જેનાથી એક તેજસ્વી બાળક ઉત્પન્ન થયું. આ બાળક પછીથી જાલંધર નામનો એક શક્તિશાળી રાક્ષસ રાજા બન્યો. જાલંધરની રાજધાની જલંધર નાગરી હતી અને તેને રાક્ષસ રાજા કલાનેમીની પુત્રી વૃંદા સાથે લગ્ન કર્યા. જાલંધરની શક્તિ અને ઘમંડને કારણે તેણે દેવી લક્ષ્મીને મેળવવા માટે યુદ્ધ કર્યું, પરંતુ તે સમુદ્રમાંથી જન્મ્યો હોવાથી લક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યો. ત્યારબાદ તેને દેવી પાર્વતીને મેળવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ભગવાન શિવ સાથે યુદ્ધ થયું.
વૃંદાની તેના પતિ પ્રત્યેની ભક્તિ અને જાલંધર માટે શક્તિનો સ્ત્રોત
પૌરાણિક કથા મુજબ દેવી તુલસી પૂર્વ જન્મમાં વૃંદા નામની પવિત્ર સ્ત્રી હતી, જેના લગ્ન અસુરરાજ જાલંધર સાથે થયા હતા. વૃંદાની પતિવ્રતા શક્તિના કારણે જાલંધર એટલો શક્તિશાળી બની ગયો કે દેવતાઓ પણ તેને હરાવી શકતા ન હતા. દેવતાઓની વિનંતી પર ભગવાન વિષ્ણુએ જાલંધરને મારવાની યોજના બનાવી અને વૃંદા સમક્ષ જાલંધરનું રૂપ લઈ હાજર થયા. પોતાના પતિનું રૂપ જોઈને વૃંદા ભ્રમિત થઈ ગઈ, જેના કારણે તેની તપસ્યા તૂટી ગઈ અને તેના કારણે જાલંધરની શક્તિનો નાશ થયો અને તે યુદ્ધમાં માર્યો ગયો.
ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીના લગ્ન
જ્યારે વૃંદાને ભગવાન વિષ્ણુના છળની ખબર પડી તો તે ખૂબ જ દુખી થઈ અને પોતાના પ્રાણ ત્યાગી દીધા. તેમના તપ, ભક્તિ અને પતિવ્રતાની શક્તિના કારણે ત્યાં ધરતી પર એક દિવ્ય છોડ ઉત્પન્ન થયો અને આ છોડ જ પવિત્ર તુલસીના રૂપમાં ઓળખાયો. ભગવાન વિષ્ણુએ વૃંદાના ત્યાગ અને સાચા પ્રેમનું સન્માન કરતા તેને વરદાન આપ્યું કે તે તુલસીના રૂપમાં હંમેશા પૂજાશે અને તુલસી વગર તેમની પૂજા અધુરી ગણાશે. પોતાની આ પ્રતિજ્ઞાને નિભાવવા માટે ભગવાન વિષ્ણુએ શાલિગ્રામ સ્વરૂપમાં તુલસી સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો. ત્યારથી દર વર્ષે કારતક શુક્લની એકાદશી બાદ તુલસી વિવાહનો પવિત્ર પર્વ મનાવવામાં આવે છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)