હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખાસ મહત્વ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે જો કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનું પણ પૂજન કરવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનાની અને બે મોટી એકાદશીનું વ્રત મોટાભાગના લોકો કરે છે. આખા વર્ષમાં આવતી તમામ એકાદશીમાં જેઠ મહિનામાં આવતી નિર્જળા એકાદશીનું ખાસ મહત્વ છે. આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે. કહેવાય છે કે જે શ્રદ્ધાળુ આ વ્રત કરે છે તેને વર્ષમાં આવતી તમામ 24 એકાદશીનું ફળ મળે છે.
એકાદશી વ્રતનું મૂહૂર્ત
વૈદિક કેલેન્ડર મુજબ, વૈષ્ણવ જનની એકાદશીનું વ્રત તિથિ 5 જૂને સવારે 2ઃ15 વાગ્યે શરૂ થશે અને તિથિ 7 જૂને સવારે 4:47 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિ મુજબ, આ વૈષ્ણવ નિર્જળા એકાદશીનું વ્રત 6 જૂનના રોજ કરવામાં આવશે.
નિર્જળા એકાદશીનું વ્રત વધુ કઠિન
જેઠ મહિનામાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત વધુ કઠિન માનવામાં આવે છે. આ વ્રત તેના નામ પ્રમાણ જે નિર્જળા એટલે કે જળ વગરનો ઉપવાસ છે. જે શ્રદ્ધાળુઓ આ વ્રત કરે છે તેમને પાપમાંથી મુક્તિ મળે છે અને તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશીના વ્રતમાં પાણી પીવાની મનાઈ છે. વ્રત કરનાર શ્રદ્ધાળુએ આખો દિવસ અન્ન અને જળના સેવન વગર આ ઉપવાસ કરવાનો હોય છે. હિંદુ ધર્મમાં અનેક ઉપવાસ એવા હોય છે જેમાં ફરાળી ભોજન અને ફળાહાર કરવામાં આવે છે. પરંતુ નિર્જળા એકાદશી કરનાર સાધકે ના ફરાળી ભોજન કે ના કોઈ ફળાહાર અને પાણી વગર આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે.
આ નિયમ મુજબ નથી તૂટતો ઉપવાસ
શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત ત્યારે જ પૂર્ણ થાય જયારે તમે અન્ન, ફળ કે પાણીનું સેવન ના કર્યું હોય. અને વ્રતના બીજા દિવસે સ્નાન કર્યા બાદ ઉપવાસ તોડીને પાણી પીધું હોય. પરંતુ શાસ્ત્રોમાં આ એકાદશીમાં એક ખાસ સમયનું સૂચન કરાયું છે જ્યારે વ્રત કરનાર સાધક પાણીનું સેવન કરી શકે અને વ્રતનો નિયમ તૂટતો નથી. આ વ્રતમાં તમે સ્નાન કરતી વખતે નિયમ મુજબ પાણી પીઓ છો, તો ઉપવાસ તૂટતો નથી. એટલે કે, જ્યારે તમે સ્નાન કરવા જાઓ છો, ત્યારે પહેલા પાણી પીઓ તો જળ વગર કરાતી એકાદશીનું વ્રત તૂટતું નથી. આ વ્રત સાથે, તમને બીજી ત્રેવીસ એકાદશીના પુણ્યનો પણ લાભ મળે છે.