વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે. ગુરુને લગ્ન, સંતાન, શિક્ષણ, ધર્મ અને ભાગ્યના કારક માનવામાં આવ્યા છે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ 14 જુલાઈ 2026થી 12 ઓગસ્ટ 2026 સુધી ગુરુ અસ્ત રહેશે. આ સમયગાળા દરમિયાન ગુરુ સૂર્યની ખૂબ નજીક પહોંચી જશે, જેના કારણે તેમની ચમક દેખાશે નહીં. આ જ સ્થિતિને ગુરુ અસ્ત થવો અથવા 'ગુરુ તારો આથમવો' કહેવામાં આવે છે. જ્યોતિષીઓના મતે જ્યાં સુધી ગુરુ અસ્ત રહે છે ત્યાં સુધી ઘણા પ્રકારના માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. તેથી આ વખતે પણ અંદાજે એક મહિના સુધી લગ્ન અને અન્ય શુભ કાર્યો પર બ્રેક લાગી શકે છે. ખાસ વાત એ છે કે ગુરુ અત્યારે કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે, જેને તેમની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે.


આ કાર્યો ટાળવાની આપવામાં આવે છે સલાહ

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અસ્તના સમયગાળાને શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવતો નથી. આ દરમિયાન લગ્ન, સગાઈ, રોકા (ગોળ-ધાણા), ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર અને નવા વેપારની શરૂઆત જેવા કાર્યોથી બચવાની સલાહ આપવામાં આવે છે. ઘણા લોકો આ સમયે પ્રોપર્ટીની ખરીદ-વેચાણ અને રજિસ્ટ્રી જેવા મોટા નિર્ણયો પણ ટાળી દે છે. જો કે, નિયમિત પૂજા-પાઠ, વ્રત, સાધના, ધાર્મિક અનુષ્ઠાન અને અગાઉથી ચાલી રહેલા કાર્યો ચાલુ રાખી શકાય છે. તેના પર ગુરુ અસ્તની કોઈ અસર માનવામાં આવતી નથી.

જીવનના અલગ-અલગ ક્ષેત્રો પર પડી શકે છે અસર

જ્યોતિષના જાણકારોનું કહેવું છે કે ગુરુ અસ્ત હોવા દરમિયાન લોકોને કેટલીક બાબતોમાં ધીમાપણું અનુભવાઈ શકે છે. શિક્ષણ, કરિયર અને ભવિષ્ય સાથે જોડાયેલા નિર્ણયોમાં ભ્રમ કે અસમંજસની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી આ દરમિયાન મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો વિચારી-સમજીને લેવાની સલાહ આપવામાં આવે છે. આર્થિક બાબતોમાં પણ સાવચેતી જરૂરી માનવામાં આવી છે. શેરબજાર, મોટા રોકાણ કે વધુ જોખમ ધરાવતા નાણાકીય નિર્ણયોમાં ઉતાવળ કરવાથી બચવું વધુ સારું ગણાય છે. કેટલાક લોકોને ધન સંબંધિત યોજનાઓમાં વિલંબનો સામનો પણ કરવો પડી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પાચનતંત્ર, પેટને લગતી તકલીફો અને વજન વધવા જેવી સમસ્યાઓ કેટલાક લોકોને પરેશાન કરી શકે છે. એવામાં ખાનપાન અને દિનચર્યા પર વિશેષ ધ્યાન આપવાની સલાહ અપાય છે.

કઈ રાશિઓએ સાવચેતી રાખવી પડશે

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો પર ગુરુ અસ્તની અસર સરખામણીએ ઓછી રહી શકે છે, કારણ કે ગુરુ આ રાશિઓ માટે અનુકૂળ સ્થિતિમાં માનવામાં આવે છે.બીજી તરફ, મિથુન, કન્યા અને ધનુ રાશિના લોકોએ કરિયર, આર્થિક બાબતો અને સંબંધોમાં ધીરજ રાખવાની જરૂર પડી શકે છે. આ દરમિયાન કોઈપણ મોટા નિર્ણયમાં ઉતાવળ કરવાથી બચવું વધુ સારું રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને મજબૂત કરવા માટે કેટલાક ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે "ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरवे नमः" મંત્રનો જાપ કરવો શુભ ગણાય છે. આ સિવાય પીળા વસ્ત્રો, હળદર, ચણાની દાળ અને કેળાનું દાન પણ કરવામાં આવે છે.


  • Follow us on: