- એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ જાણ કર્યા વગર એક સાથે રજા પર ઉતર્યા
- નોટિસ આપ્યા વગર રજા પર જવાના કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ
- અમારી ટીમો મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવા માટે ઝડપથી કામ કરી રહી છે: એરલાઈન્સ
જો તમે આજે હવાઈ મુસાફરી કરવા જઈ રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સે અચાનક તેમની 78 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે અને તેનું મુખ્ય કારણ કર્મચારીઓની અછત છે. હકીકતમાં એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ એક સાથે Sick Leave પર ઉતર્યા છે જેના કારણે કંપનીએ આ પગલું ભરવું પડ્યું છે. ખાસ વાત એ છે કે આ કર્મચારીઓએ રજા માટે કોઈ નોટિસ પણ આપી ન હતી.
ક્રૂ મેમ્બર્સ જાણ કર્યા વગર રજા પર ઉતર્યા
એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે વરિષ્ઠ ક્રૂ મેમ્બરો અચાનક નોટિસ આપ્યા વિના રજા પર જવાના કારણે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. મંગળવાર રાતથી આ વિરોધે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે એરલાઈન્સે 78થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. આમાંની મોટાભાગની ફ્લાઈટ્સ મિડલ ઈસ્ટ અને ગલ્ફ દેશો માટે છે. તેમજ ઘણી ફ્લાઈટ મોડી પડી છે.
સમાચાર છે કે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ મર્જ થવા જઈ રહી છે જેનો કર્મચારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. બંને એરલાઇન્સના પાઇલોટ્સ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની નોકરી જોખમમાં છે.
મુસાફરો માટે એરલાઇન્સ સલાહ
એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, 'અમારા વરિષ્ઠ કેબિન ક્રૂના એક વિભાગે ગઈકાલે રાત્રે છેલ્લી ઘડીએ બીમારીની જાણ કરી છે જેના પરિણામે ફ્લાઈટમાં વિલંબ થયો છે અને ઘણી બધી રદ થઈ છે. આ ઘટનાઓ પાછળના કારણો સમજવા માટે અમે Croomના સભ્યો સાથે વાત કરી રહ્યા છીએ. અમારી ટીમો મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવા માટે ઝડપથી કામ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલાની તપાસ કરી રહી છે. એરલાઈન્સનું કહેવું છે કે અસરગ્રસ્ત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે અથવા તેમની પાસે તેમની ફ્લાઈટને બીજી તારીખે શેડ્યૂલ કરવાનો વિકલ્પ હશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરે.
મુસાફરો પડી મુશ્કેલી
એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ અચાનક કેન્સલ થવાને કારણે ઘણા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તેમાંથી ઘણાએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદ વિશે માહિતી આપી છે. કેટલાકે લખ્યું હતું કે, 'તેમને ફ્લાઈટ્સ કેન્સલ થવાની કોઈ માહિતી આપવામાં આવી ન હતી અને આ ખૂબ જ નિરાશાજનક છે.'