- દુનિયામાં સોનાના બીજા નંબરના સૌથી મોટા ગ્રાહક તરીકે ભારતનો નંબર આવે છે
- સોનાની આયાતમાં ફરી એકવાર ગાબડું
- વૈશ્વિક કારણો અને માંગને લીધે સોનાની આયાત ઘટી
દેશની સોનાની આયાત ફેબ્રુઆરી વર્ષ-2024ની સરખામણીમાં માર્ચમાં 90 ટકાથી વધુ ઘટશે અને કોરોના મહામારી પછીના સૌથી નીચા સ્તરે પહોંચી જશે. એક સરકારી અધિકારી અને બે બેંક ડીલરોએ જણાવ્યું હતું કે કિંમતી ધાતુના રેકોર્ડ ઊંચા ભાવે માંગને અસર કરી છે. આ કારણે બેંકોએ સોનાની ખરીદી ઓછી કરી છે જેના કારણે આયાતમાં મોટો ઘટાડો થઈ શકે છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે ભારતે ફેબ્રુઆરીમાં 110 ટન સોનાની આયાત કરી હતી. માર્ચમાં તે ઘટીને 10-11 ટન થઈ શકે છે.
સોનું 150 રૂપિયા મોંઘું, ચાંદીમાં 250નો ઘટાડો
વૈશ્વિક બજારમાં બહુકીંમતી ધાતુઓની કીંમતોમાં તેજી આવતા બુધવારે દિલ્હી સરાફા બજારમાં સોનું 150 રૂપિયા મોંઘું થઈ 67 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલું થયું હતું. જ્યારે ચાંદીમાં અઢીસો રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. 77,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. ગત કારોબારી સત્રમાં સોનું 66,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ભાવ બંધ આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મજબૂતીની સાથે 2180 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું.
વેપાર ખોટમાં ઘટાડો થશે
સોનાના બીજા ક્રમના સૌથી મોટા ગ્રાહક ભારતમાંથી ઓછી આયાત, કિંમતી ધાતુના વૈશ્વિક ભાવમાં વધારો મર્યાદિત કરી શકે છે, જે આ મહિનાની શરૂઆતમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચી હતી. આયાતમાં ઘટાડાથી ભારતને વેપાર ખાધ ઘટાડવામાં મદદ મળશે. તેમજ રૂપિયાને પણ સપોર્ટ મળી શકે છે.
ખરીદીમાં ઘટાડો થવાનું કારણ
જ્વેલર્સ 35 ડોલર પ્રતિ ઔંસથી વધુના ડિસ્કાઉન્ટ પર પણ સોનું ખરીદતા નથી કારણ કે રેકોર્ડ ઊંચા ભાવે આયાત કરવાનું અને માંગ વધવાની રાહ જોવાનું કોઈ કારણ નથી. ઊંચા ભાવને કારણે ગ્રાહકો જૂના સોનાના દાગીનાને બદલીને નવા દાગીના લઈ રહ્યા છે, જેના કારણે જ્વેલર્સે બેંકોમાંથી સોનું ખરીદવાનું બંધ કરી દીધું છે.