- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની રોજગાર પરની અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી
- આવનારા સમયમાં AI દ્વારા ઘણા ક્ષેત્રોમાં નોકરીની તકો
- જુલાઈમાં બજેટની થઈ શકે છે જાહેરાત
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ વખતના બજેટની જાહેરાત પહેલા અર્થશાસ્ત્રીઓની સલાહ લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જ અર્થશાસ્ત્રીઓ નાણામંત્રી સીતારમણને મળ્યા હતા. જેમાં તેમણે આગામી બજેટ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સમયગાળા દરમિયાન વિકાસ, રાજકોષીય નીતિ, રોકાણ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સાથે જ રોબોટ ટેક્સ પણ ચર્ચાનો વિષય હતો. ત્યારે જાણો રોબોટ ટેક્સ શું છે અને કોના પર લગાવી શકાય છે.
રોબોટ ટેક્સની ભલામણ
આ બેઠકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની રોજગાર પરની અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિસ્થાપિત કામદારોને પુનઃ કૌશલ્ય આપવા માટે 'રોબોટ ટેક્સ'ના પ્રસ્તાવ પર પણ નાણામંત્રી સાથેની ચર્ચામાં ઘણા મહત્વના ક્ષેત્રોને સાંકળી લેવામાં આવ્યા હતા. આમાં ખાનગી રોકાણ, રોજગાર સર્જન, રાજકોષીય સમજદારી જાળવવા તેમજ દેવું સ્તર અને ખાદ્ય ફુગાવાને નિયંત્રિત કરવાના પગલાંનો સમાવેશ થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા જતા ઉપયોગ અને રોજગાર પર તેની સંભવિત અસર એ એક ખાસ વિષય હતો. એક અર્થશાસ્ત્રીએ 'રોબોટ ટેક્સ'નો વિચાર સૂચવ્યો છે. આ ટેક્સથી AI-આધારિત વિસ્થાપનથી પ્રભાવિત કામદારોના પુનર્વસન માટે ભંડોળ પૂરું પાડી શકે છે.
શું છે રોબોટ ટેક્સ?
આવનારા સમયમાં AI દ્વારા ઘણા ક્ષેત્રોમાં નોકરીની તકો ખુલશે. આવી સ્થિતિમાં ઘણા લોકો માને છે કે AI અને રોબોટ્સનો ઉપયોગ સંયમ અને શાણપણ સાથે સંતુલિત રીતે કરવો જોઈએ. તેથી તેના ઉપયોગ પર રોબોટ ટેક્સ લાદવાની વાત ચાલી રહી છે, જેથી રોબોટ ટેક્સમાંથી મળેલી રકમ નોકરી ગુમાવી ચૂકેલા કર્મચારીઓની સ્કિલ વધારવા પર ખર્ચ કરી શકાય અને તેઓને ફરીથી નોકરી મળી શકે.
અર્થશાસ્ત્રીઓએ આગામી બજેટમાં સ્થાનિક ઉદ્યોગોના રક્ષણની સાથે ખાનગી રોકાણને વધુ વધારવાના પગલાં પણ સૂચવ્યા હતા. 25 જૂન સુધી નાણામંત્રી અને તેમની ટીમ બજેટની તૈયારી અંગે ઉદ્યોગ, ખેડૂત સંઘ, MSME, ટ્રેડ યુનિયન સાથે ચર્ચા કરશે.