સાચી રીતે ઈન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) ફાઈલ કરનારા ઘણાં કરદાતાઓને આવકવેરા વિભાગે નોટિસો પાઠવી જણાવ્યું હતું કે, તેમના દ્વારા ભૂલ ભરેલું આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યું છે. સાચી રીતે આઈટીઆર ફાઈલ કર્યું હોવા છતાં ઈન્કમ ટેક્સ (આઈટી) ડિપાર્ટમેન્ટની આવી નોટિસોથી કરદાતોઓ મુંઝવણમાં મૂકાયા હતા.


જો કે પાછળથી આઈટી વિભાગને પોતાની ભૂલ સમજાતા આવી નોટિસો પરત ખેંચી હતી અને પસ્તાવો વ્યક્ત કર્યો હતો. જેથી પીડિત કરદાતાઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આવકવેરા વિભાગની આવી કાર્યશૈલી ગંભીર બેદરકારી છે અને ખોટી ટેક્સ નોટિસો ચિંતાની બાબત છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાક્રમથી આવકવેરા વિભાગ હાંસીપાત્ર બન્યું છે. જો કે એવા કેટલાક કરદાતાઓ હોઈ શકે છે, જેમણે આવકવેરા વિભાગની આવી ખોટી નોટિસના બદલે ફરીથી આઈટીઆર ફાઈલ કર્યું હોય. કેમ કે, દરેક કરદાતા પાસે એટલો સમય, સંશાધનો કે ઈચ્છા હોતી નથી કે, તેઓ ખોટી નોટિસો બદલ સરકાર કે આઈટી વિભાગ સામે જંગે ચઢે.

29મી નવેમ્બર 2024ના રોજ આવકવેરા વિભાગે ખામીયુક્ત આઈટીઆર બદલ ઘણાં બધાં કરદાતાઓને નોટિસો પાઠવી હતી. ત્યારબાદ પોતાની ભૂલ સમજાતાં પાંચમી ડિસેમ્બરે આઈટી વિભાગે જણાવ્યું હતું કે, 29મી નવેમ્બર 2024ના રોજ ભૂલ ભરેલી રિટર્ન નોટિસો ઈશ્યૂ કરવામાં આવી હતી. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, આવકને કલમ 44એડી હેઠળ ઓફર કરવામાં આવી છે, તેમ છતાં કુલ રસીદો રૂ.બે કરોડથી વધુ છે અને બેલેન્સ શીટ તથા નફો અને નુકસાનનો હિસાબ દાખલ કરવામાં આવ્યો નથી અને હિસાબોનું ઓડિટ કરવામાં આવ્યું નથી. કરદાતાઓ મહેરબાની કરીને આવી નોટિસોની અવગણના કરે, આવી નોટિસો બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. કરદાતાઓ દ્વારા અગાઉ જે આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યું છે, તેની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી આ કાર્યવાહીના પરિણામની સૂચના અંગે રાહ જોવી.નોંધનીય છે કે, જે કરદાતાઓની કોઈ કુલ રસીદો કે ટર્નઓવર રૂ.બે કરોડથી વધુ ન હોય તેવો સેક્શન 44એડી હેઠળ આઈટીઆર ફાઈલ કરી શકે છે.


  • Follow us on: