• ગોલ્ડ માર્કેટમાં સરકારી દિશા-નિર્દેશોની 'ઐસી તૈસી'

  • ગણતરીના જ્વેલર્સ જ રૂ.દસ લાખથી વધુના વ્યવહારની સંબંધિત વિભાગમાં જાણ કરે છે
  • 2023માં ભારતમાં બિનસત્તાવાર રીતે લગભગ 155 ટન સોનાની આયાત કરાયેલી

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશનના દોઢ વર્ષ પછી પણ જ્વેલર્સ ઊંચા મૂલ્યના અથવા શંકાસ્પદ રોકડ વ્યવહારોની જાણ કરવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે.

એક લાખ જ્વેલર્સમાંથી પાંચમાં ભાગથી ઓછાએ સંબંધિત વેપારી સંસ્થાઓમાં નોંધણી કરાવી છે અથવા રૂ. દસ લાખથી ઉપરના હોય તેવા શંકાસ્પદ કે રોકડ વ્યવહારોની જાણ કરી છે. વર્ષ 2023માં સરકારે કિંમતી ઘાતુઓના ડીલરો માટે મની લોન્ડરિંગ વિરોધી ધોરણોનું પાલન કરવા અંગે દિશા-નિર્દેશો જાહેર કર્યા હતા. એક અંદાજ મુજબ સમગ્ર દેશમાં એક લાખથી વધુ જ્વેલર્સ છે. ગંભીર બાબત એ છે કે, રજિસ્ટર્ડ જ્વેલર્સ પૈકી ઘણાં ઓછા લોકો નોડલ ઓફિસરને દસ લાખથી વધુના રોકડ વ્યવહારોની જાણ કરે છે. આ અહેવાલ વચ્ચે એક ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2023માં ભારતમાં બિનસત્તાવાર રીતે લગભગ 155 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. તેમાં પણ નવાઈની વાત એ છે કે, છેલ્લા એક વર્ષમાં કોઈપણ શંકાસ્પદ વ્યવહારોની નોંધ કરાવાઈ નથી.

સરકારે બહાર પાડેલા દિશા-નિર્દેશો મુજબ, રૂ.500 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતાં જ્વેલર્સે ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (એફઆઈયુ) સમક્ષ વ્યવહારોની માહિતીની જાહેર કરવી અનિવાર્ય છે. તેમજ રૂ.500 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતાં જ્વેલર્સે ઈન્ડિયન બૂલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન, જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલઅને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જેવી વેપારી સંસ્થાઓમાં નોંધણી કરાવવી આવશ્યક છે. ગોઠવવામાં આવેલી વ્યવસ્થા મુજબ, આ બિઝનેસ સંસ્થાઓ એફઆઈયુને જરૂરી માહિતી પૂરી પાડવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરશે. જેથી આવા જ્વેલર્સને એફઆઈયુ સમક્ષ નોંધણી કરાવવાની જરૂરી નથી. જ્વેલર્સ માટેની રાષ્ટ્રીય સંસ્થા જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર તેમની પાસે નોંધાયેલા સભ્યોની સંખ્યા અંદાજે બે હજાર છે. જેમને પીએમએલએ માટે આપમેળે નોંધાયેલા ગણવામાં આવે છે. કાઉન્સિલના અધિકારી નોડલ ઓફિસર તરીકે કામ કરે છે અને એફઆઈયુ સાથે સંકલન કરે છે.


  • Follow us on: