અગાઉ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ તરીકે જાણીતા નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ રાણા કપૂર પરિવારની માલિકીની કંપની મોર્ગન ક્રેડિટ પ્રાઈવેટ લિમિટેડના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)માં રૂ.950 કરોડનું રોકાણ કરવા બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેસન (સીબીઆઈ)ના સ્કેનર હેઠળ છે.
સીબીઆઈની તપાસ એક મોટી મલ્ટી એજન્સી તપાસનો ભાગ છે. આ તપાસમાં સિક્યોરિટીઝ એન્ડ એસ્કચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પણ સામેલ છે. વિવિધ એજન્સીઓ યસ બેંક દ્વારા જારી કરાયેલા એટી1 બોન્ડ્સમાં અગાઉ રિલાયન્સ કેપિટલની માલિકીની કંપનીઓ દ્વારા આશરે રૂ.2,850 કરોડના સંચિત રોકાણોની તપાસ કરી રહી છે. આ વ્યવહારો એવા સમયે થયા હતા જ્યારે રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ કંપની નિપ્પોનની પેરન્ટ કંપની હતી. જેના પગલે રિલાયન્સ હોમ ફાયનાન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ સુધી તપાસ લંબાયેલી છે. સપ્ટેમ્બર 2019માં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડનું નામ બદલીને નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ ડિસેમ્બર 2016થી માર્ચ 2020 સાથે જોડાયેલ છે. જ્યારે રિલાયન્સ કેપિટલની માલિકીની કંપનીઓ અને યસ બેંક વચ્ચે થયેલા ચોક્કસ વ્યવહારો બજાર નિયમનકારની જાણમાં આવ્યા હતા. નવીન પ્રકરણ ફંડ હાઉસ દ્વારા એપ્રિલ 2018માં કરાયેલા રોકાણના દસ્તાવેજો અને માહિતી સંબંધી છે. તપાસ એજન્સી દ્વારા 21મી ડિસેમ્બરના રોજ આ અંગેના દસ્તાવેજો અને માહિતી માંગવામાં આવી હતી. દરમિયાન કેપિટલ માર્કેટ વોચડોગ દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટમાં અનિલ અંબાણી, તેમના પુત્ર જય અનમોલ અંબાણી, રાણા કપૂર અને નિપ્પોન ઈન્ડિયા એમએફના ટોચના હોદ્દેદારો સહિત એસેટ મેનેજમેન્ટ કંપની તથા અન્ય કંપનીઓને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં નિપ્પોન ઈન્ડિયા એમએફના સીઈઓ સંદીપ સિક્કા, ફિક્સ્ડ ઈનકમના સીઆઈઓ અમિત ત્રિપાઠી, ચીફ ઓફિસર- ઓપરેશન એન્ડ કસ્ટમર સર્વિસ મિલિન્દ નેસારિકરનો પણ સમાવેશ થાય છે.










