પાછલા સપ્તાહે ડોલર સામે રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થયા બાદ અને ફોરેક્સ રિઝર્વ જેવા મોરચે થયેલી પીછહેટને પગલે અર્થશાસ્ત્રીઓએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ને સૂચન કર્યું છે કે, તે પોતાની રણનીતિમાં સુધારો કરે. અર્થાશાસ્ત્રીઓે જણાવ્યું હતું કે, ભારતની મધ્યસ્થ બેંકે તેની ફોરેન એક્સચેન્જ વ્યૂહરચના પર પુનઃવિચાર કરવાની અને વર્ષ 2025માં રૂપિયા પરની તેની પકડ ઢીલી કરવાની આવશ્યકતા છે.
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, રૂપિયાના મૂલ્યમાં થયેલા વધારાને જોતાં આરબીઆઈને ફોરેક્સ હસ્તક્ષેપની ગત ધીમી કરવાની જરૂર પડશે. જેના પગલે ચલણ નબળું પડવાની અને ઊંચી વોલેટાલિટીની શકયતા રહેલી છે. જેનો પુરાવો પહેલાથી જ મળી ગયો છે. રૂપિયાની 30 દિવસની દૈનિક વોલેટાલિટી છ મહિનાની અત્યાર સુધીની ઊંચી સપાટીએ છે અને ચલણમાં ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં 1.2 ટકાનો ઘટાડો થયા બાદ બે વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો નોંધાવવા માટે તૈયાર છે. ગત શુક્રવારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 85.80ના સર્વકાલીન નીચા સ્તરે ગયું હતું. ઓવરવેલ્યૂએશનના સંકેતને ધ્યાનમાં રાખવામાં આવે તો રૂપિયામાં વધુ અવમૂલ્યન થવાની સંભાવના છે. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ કાપમાં નજીવો ફેરફાર, ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓની અસરની ચિંતાઓ અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો તેમજ ભારતની મંદ વિકાસ વૃદ્ધિ રૂપિયાના મૂલ્ય સામે પડકારો પેદા કરશે.










