- ભારતમાં મોંઘવારી પર અંકુશ લગાવવો એ સરકારની પ્રાથમિકતા
- ઊંચા વ્યાજદરને કારણે અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર પડે:નાણાંમંત્રી
- જુલાઈમાં ભારતના મોંઘવારી દરમાં જબરદસ્ત વધારો નોંધવામાં આવ્યો
વધતી જતી મોંઘવારી વચ્ચે શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને અંકુશમાં લેવા માટે સરકારના પગલાં વિશે માહિતી આપી હતી. રાજધાની દિલ્હીમાં જી-20ની બેઠક B-20 સમિટને સંબોધિત કરતા નાણાં મંત્રીએ કહ્યું હતું કે વ્યાજ દરોને લાંબા સમય સુધી ઊંચા સ્તરે રાખવાથી અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકે છે. પરંતુ ભારતમાં મોંઘવારી પર અંકુશ લગાવવો એ સરકારની પ્રાથમિકતા છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે ફુગાવાથી બજારમાં લાંબા સમય સુધી માંગ ઘટી જાય છે અને ઊંચા વ્યાજદરને કારણે અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર પડે છે.
મોંઘવારી દર 15 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી
જુલાઈમાં ભારતના મોંઘવારી દરમાં જબરદસ્ત વધારો નોંધવામાં આવ્યો હતો અને તે વધીને 7.44 ટકા થયો હતો. નોંધનીય છે કે મોંઘવારી દર છેલ્લા 15 મહિનામાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. કમોસમી વરસાદ અને પુરવઠા શૃંખલામાં અછતને કારણે દેશમાં ટામેટા, ડુંગળી વગેરે શાકભાજીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં તેની અસર મોંઘવારી દર પર જોવા મળી રહી છે.
સપ્લાય ચેઇન પર ધ્યાન આપવું પડશે
આ સાથે નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાને ફુગાવાને અંકુશમાં લેવાના એકમાત્ર હથિયાર તરીકે જોવું જોઈએ નહીં. આ સિવાય સરકારે સપ્લાય ચેઈન પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વધુ સારી સપ્લાય ચેઇનની ગેરહાજરીમાં ફુગાવાને નિયંત્રિત કરવું મુશ્કેલ બની શકે છે. નોંધનીય છે કે ખાદ્ય મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારે છેલ્લા 2થી 3 મહિનામાં ઘણા પગલાં લીધા છે. જેમાં સફેદ નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ, સસ્તા ડુંગળી અને ટામેટાંનું વેચાણ વગેરે જેવા પગલાં સામેલ છે.
EV પર આયાત ડ્યુટી ઘટશે નહીં
આ સાથે નાણામંત્રીએ EVs પરની આયાત ડ્યૂટી ઘટાડવાના સમાચારને નકારી કાઢ્યા અને કહ્યું હતું કે સરકારનો ઇલેક્ટ્રિક વાહનો પરની આયાત ડ્યૂટી ઘટાડવાનો કોઈ ઈરાદો નથી. કેન્દ્ર સરકાર દેશમાં નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં ઈવી પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. EVs પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો નહીં કરવાના નાણામંત્રીના સ્પષ્ટીકરણને કારણે Elon Muskની Tesla જેવી કંપનીઓને મોટો ફટકો પડી શકે છે.