ભારતમાં સ્થાનિક હવાઈ મુસાફરી સતત વધી રહી છે, જાન્યુઆરી 2025માં 1.5 કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી છે. ICRAના રિપોર્ટ મુજબ ગયા વર્ષે ડિસેમ્બર 2024માં મુસાફરોની સંખ્યામાં 0.7 ટકાનો વધારો થયો છે અને જાન્યુઆરી 2024થી વાર્ષિક ધોરણે 14.4 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્ર માટે આ એક સારા સમાચાર છે.
આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં પણ મોટી વૃદ્ધિ જોવા મળી
વધુમાં તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2025ના આંકડા જાન્યુઆરી 2020ના કોવિડ પહેલાના સ્તર કરતા 17.9% વધારે છે. નાણાકીય વર્ષ 2025ના પ્રથમ 10 મહિનામાં (એપ્રિલ 2024 થી જાન્યુઆરી 2025) સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 1,372.1 લાખ રહી, જે વાર્ષિક 7.5% વૃદ્ધિ દર્શાવે છે અને નાણાકીય વર્ષ 2020ની સરખામણીમાં 13% વધુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં પણ મોટી વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ભારતીય એરલાઇન્સે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ મહિનામાં 248.9 લાખ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાનો પર પહોંચાડ્યા છે. આ વાર્ષિક વૃદ્ધિ 14.5 ટકા છે અને કોવિડ પહેલાના ડેટા કરતાં 41.7% વધુ છે.
2025માં સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રે પેસેન્જર લોડ ફેક્ટર 92.1% નોંધાયું
જાન્યુઆરી 2024ની સરખામણીમાં જાન્યુઆરી 2025માં એરલાઈને તેની ક્ષમતામાં વધારો કર્યો છે. આ સમયગાળા દરમિયાન એરલાઈન્સે 10.8%નો વધારો કર્યો છે. જોકે આ ડિસેમ્બર 2024 કરતા 1.2% ઓછું હતું. જાન્યુઆરી 2025માં સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રે પેસેન્જર લોડ ફેક્ટર 92.1% નોંધાયું હતું, જે જાન્યુઆરી 2024માં 89.2% અને જાન્યુઆરી 2020માં 85% હતું.
ફ્યૂલની કિંમતની એરલાઈન્સ પર પડી અસર
આ રિપોર્ટમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રના વિકાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ઈંધણના ભાવને પણ એક મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવ્યા છે. ઈંધણના ભાવ એરલાઈન્સને થોડી રાહત આપે છે. એપ્રિલ-જુલાઈ 2024 દરમિયાન એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવ વાર્ષિક વધારામાં 5.3% વધુ હતા, પરંતુ ઓગસ્ટ 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન વાર્ષિક વધારામાં 14.7% ઓછા હતા. એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025ના સમયગાળા માટે ATFના ભાવ પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતા 8.1% ઓછા હતા.