આજે મધ્યપ્રદેશમાં ઇન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થયો હતો. પીએમ મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે દેશના ટોચના ઔદ્યોગિક જૂથોના 300 થી વધુ ચેરમેન, એમડી અને સીઈઓ ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં ગૌતમ અદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સમિટને લઇને ગૌતમ અદાણીએ કેવા પ્રકારની જાહેરાત કરી છે તથા કયા ક્ષેત્રમાં રોકાણ કરવું તે અંગે પણ વાત કરી હતી.


એમપીમાં અદાણીએ રોકાણની જાહેરાત

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2025માં જણાવ્યું હતું કે રાજ્યમાં 1.10 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી 2030 સુધીમાં રાજ્યમાં 1.2 લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે. અદાણીએ જણાવ્યું હતું કે તેમનું જૂથ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, એરપોર્ટ પ્રોજેક્ટ અને કોલસા-ગેસિફિકેશન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી રહ્યું છે જેમાં રૂ. 1,00,000 કરોડનું વધારાનું રોકાણ થશે.

1.20 લાખ યુવાઓને રોજગારી

  • અદાણીએ કહ્યું કે આજે, મને પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, ખાણકામ, સ્માર્ટ-મીટર અને થર્મલ પાવર ક્ષેત્રોમાં રૂ. 1,10,000 કરોડથી વધુના નવા રોકાણોની જાહેરાત કરતા ગર્વ થાય છે. આ બહુ-ક્ષેત્રીય રોકાણ 2030 સુધીમાં મધ્યપ્રદેશમાં 1,20,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે.
  • ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપે પહેલા જ એમપીમાં ઉર્જા, માળખાગત સુવિધા, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને કૃષિ-વ્યવસાયમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યુ છે.
  • 25000થી વધુ નોકરીઓનું સર્જન થયું છે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, નવા રોકાણો ભારતના આત્મનિર્ભરતા અને નવીનતાના વિઝનને અનુરૂપ રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

અદાણીના શેર્સમાં ઘટાડો

હવે વાત કરીએ શેરબજારની તો, ભારતીય શેરબજારમાં સોમવારે બજારમાં ભારે વેચવાલી વચ્ચે અદાણી ગ્રુપના મોટાભાગના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર અદાણી એનર્જી સોલ્યુશન્સ એકમાત્ર ગ્રુપ સ્ટોક હતો જે લીલા નિશાનમાં ટ્રેડ થયો હતો, જે 0.55 ટકા વધીને રૂ. 673.30 પર પહોંચ્યો હતો. બીજી તરફ, અદાણી ગ્રીન એનર્જીનો શેર સૌથી ખરાબ રહ્યો, જેમાં 2 ટકાનો ઘટાડો થયો. અદાણી પાવર અને અંબુજા સિમેન્ટના શેરમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો. આ દરમિયાન BSE પર ACC, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અદાણી વિલ્મરના શેર 1 ટકાથી ઓછા ઘટ્યા હતા.


  • Follow us on: