- IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ભારતના પ્રતિનિધિ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમનો વ્યક્તિગત અભિપ્રાય :IMF
- આઈએમએફે ભારતના વૃદ્ધિ દરના અનુમાન અંગે હાથ ખંખેર્યા
- જાન્યુઆરી સુધી ભારતની વૃદ્ધિનો અમારો અંદાજ 6.5 ટકા હતો
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતીય અર્થવ્યવસ્થા 2047 સુધીમાં 8 ટકાના દરે વૃદ્ધિ પામવાના અંદાજ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ આંકડો અમારો સત્તાવાર આંકડો નથી. તેના બદલે, તે IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ભારતના પ્રતિનિધિ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમનો વ્યક્તિગત અભિપ્રાય છે.
IMFના પ્રવક્તા જુલી કોઝાકે જણાવ્યું હતું કે IMFમાં ભારતના પ્રતિનિધિ તરીકે સુબ્રમણ્યમના વિચારો તેમની ભૂમિકામાં હતા. સુબ્રમણ્યમ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય છે, એમ આઈએમએફના પ્રવક્તાએ જણાવ્યું હતું. બોર્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સથી બનેલું છે, જે દેશોના પ્રતિનિધિઓ છે. તેઓ IMF સ્ટાફનો ભાગ નથી. તેમનું કામ IMF કરતા અલગ છે. તેમણે કહ્યું કે જાન્યુઆરી સુધી ભારતની વૃદ્ધિનો અમારો અંદાજ 6.5 ટકા હતો. આગાહીઓ થોડા અઠવાડિયામાં ફરીથી રજૂ કરવામાં આવશે.
આ આખો મુદ્દો શું છે
સુબ્રમણ્યમે કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા 2047 સુધી 8 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. જો આ જ ગતિ ચાલુ રહે તો ભારત આ સમયગાળા સુધીમાં 55 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે. જો કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે દેશ છેલ્લા 10 વર્ષમાં લાગુ કરવામાં આવેલી સારી નીતિઓને બમણી કરી શકે અને સુધારાને વેગ આપે. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 8 ટકાનો વિકાસ દર મહત્ત્વાકાંક્ષી છે કારણ કે ભારત ભૂતકાળમાં આ ગતિએ સતત વિકાસ કરી શક્યું નથી, પરંતુ તે પ્રાપ્ત કરી શકાય તેવું છે.
અર્થવ્યવસ્થાની ગતિ અપેક્ષા કરતાં સારી
ભારતીય અર્થતંત્ર 2023 ના છેલ્લા ત્રણ મહિનામાં અપેક્ષા કરતા વધુ 8.4 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં જીડીપી વૃદ્ધિની આ સૌથી ઝડપી ગતિ છે. ઓક્ટોબર-ડિસેમ્બરમાં વૃદ્ધિ દરના આધારે ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.6 ટકા કરવામાં આવ્યો છે.
આ ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે
IMFમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે પણ કહ્યું કે જમીન, શ્રમ, મૂડી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુધારા જરૂરી છે. આ સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લોન આપવા માટે બેન્કિંગ સેક્ટરમાં સુધારા પર પણ ધ્યાન આપવું પડશે.
રોજગાર સર્જન પર ભાર આપવામાં આવશે, વપરાશ વધશે
સુબ્રમણ્યમે કહ્યું કે, ઐતિહાસિક રીતે 1991થી ભારતનો સરેરાશ આર્થિક વિકાસ દર 7 ટકાથી થોડો વધારે રહ્યો છે. ભારતે તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની જરૂર છે કારણ કે દેશની જીડીપીનો લગભગ 58 ટકા સ્થાનિક વપરાશમાંથી આવે છે. તો, તમે જાણો છો... અમારી પાસે ક્ષમતા છે. જો આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહિત કરીને પર્યાપ્ત નોકરીઓનું સર્જન કરી શકીએ, તો તેનાથી વધુ વપરાશ થશે.