• લોકસભાની ચૂંટણી બાદ સત્તાવાર જાહેરાતની શક્યતા

  •  રિઝર્વ બેંક અને ATM ઉદ્યોગ પરિસંઘ વચ્ચે તાજેતરમાં બેઠક મળી
  • બેંકના એટીએમથી નાણાં ઉપાડવા અથવા લેણદેણ કરવા ઉપર ફી રૂ.20 થી રૂ.23 થઇ શકે છે

લોકસભાની ચૂંટણી પછી અન્ય બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડવાનું મોંઘુ થઇ શકે છે. એટીએમ એટલેકે ઓટોમેટેડ ટેલર મશીન પર થતા ખર્ચ અંગે હવે બેંકિંગ સેકટરમાં નવેસરથી વિચારણા થઇ રહી છે. જે મુજબ હવે બીજી બેંકના એટીએમથી નાણાં ઉપાડવા અથવા તો લેણદેણ કરવા ઉપર ફી (ઇન્ટરચેંજ શુલ્ક) વધારીને રૂ.20 થી રૂ.23 થઇ શકે છે.આ ઉપરાંત વધુ રોકડ નાણાં ઉપાડવા ઉપર પણ વધારાની સુવિધા શુલ્ક લેવામાં આવી શકે છે. જે વિસ્તારમાં બેંકોની શાખાઓ ઓછી હોય અથવા તો એટીએમ ઓછા છે ત્યાં ફી ઓછી રાખવા અંગે પણ વિચારણા થઇ રહી છે.જેથી પ્રત્યક્ષ લાભ અંતરણ ( ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર)ના લાભાર્થીઓ એટીએમમાંથી સરળતાથી રકમ ઉપાડી શકે.આ અંગે રિઝર્વ બેંક દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે. બેંકિંગ સૂત્રોના જણાવ્યા મુજબ એટીએમ ઉદ્યોગ પરિસંઘ (Catmi) અને રિઝર્વ બેંક વચ્ચે તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઇ હતી. ફીની સમીક્ષાનો અહેવાલ એવા સમયે આવ્યો છેકે, જ્યારે સપ્ટેમ્બર 2023થી માર્ચ 2024 સુધી 45000 નવા એટીએમ અને કેશ રિસાઇકલિંગ મશીનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પૂર્વેના છ માસની તુલનાએ આ ઓર્ડર છ ગણો છે.

આ સંખ્યા નવેમ્બર 2016માં નોટબંધીના સમયથી આજ સુધી દેશમાં લગાવામાં આવેલા એટીએમથી પણ વધુ છે. નોટબંધીના સમયે દેશમાં અંદાજે 2.25 લાખ એટીએમ હતા અને હાલમાં આ સંખ્યા 2.60 લાખ છે. એટલેકે છેલ્લા સાત વર્ષમાં દેશમાં એટીએમની સંખ્યામાં 35000નો જ વધારો થયો છે.

એટીએમ ઇન્ટરચેંજ શુલ્ક વ્યવસ્થાની સમીક્ષા માટે ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના તત્કાલિન સીઇઓ વી.જી.કન્નનના વડપણ હેઠળની સમિતિએ 22 ઓકટોબર 2019ના રોજ અહેવાલ સુપરત કર્યો હતો. ખાતેદાર જ્યારે બીજી બેંકના એટીએમમાંથી કાર્ડથી લેવડદેવડ કરે છે ત્યારે ઇન્ટરચેંજ શુલ્ક વસૂલવામાં આવે છે. જે અગાઉ રૂ.15 પ્રતિ લેવડદેવડ હતો. જે 1 ઓગસ્ટ 2021થી વધારીને રૂ.17 કરવામાં આવ્યો હતો. નાણાંકીય લેવડદેવડ વગરના વ્યવહાર ઉપર ફી રૂ.5 હતી તે વધારીને રૂ.6 કરવામાં આવી છે. 2012માં એટીએમ ઇન્ટરચેંજ ફી રૂ.18 હતી તે પાછળથી ઘટાડીને રૂ.15 કરવામાં આવી હતી.

શા માટે ફી વધારવામાં આવી શકે છે ?

એટીએમ સેન્ટરની જગ્યાનું ભાડુ, ઇંધણના ખર્ચ, રોકડ રકમ ભરવાની ફી અને ગૃહમંત્રાલયની સુરક્ષા શરતોનું પાલન કરવાના કારણે ખર્ચો વધ્યો છે. રૂ.2000ની ચલણી નોટ બંધ કરવામાં આવ્યા બાદ હવે એટીએમમાં પણ વધુ સંખ્યામાં ચલણી નોટો ભરવી પડે છે. ઉદ્યોગ ઇન્ટરચેંજ ફી વધારીને રૂ.20 કરવા માટે તૈયાર હતો પણ એમ મનાય છેકે, હવે કેસેટ બદલવાનો ખર્ચ વસૂલવા માટે ફી વધારીને રૂ.23 કરવામાં આવી શકે છે.

  • Follow us on: