મોદી સરકારે ગયા મહિને સ્વચ્છ ભારત અભિયાન દરમિયાન ભંગાર વેચીને રૂપિયા 800 કરોડની કમાણી કરી, જે ચંદ્રયાન-3ના બજેટ કરતાં ઘણી વધારે હતી. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનારા ચંદ્રયાન-3 મિશનનો ખર્ચ 615 કરોડ રૂપિયા હતો. આ વર્ષના ડેટા અનુસાર 2021માં વાર્ષિક અભિયાન શરૂ થયા પછી ભંગાર વેચીને સરકારની કુલ કમાણી આશરે 4,100 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.


11.58 લાખ ઓફિસોની સફાઈ કરવામાં આવી

આ વર્ષે 2થી 31 ઓક્ટોબર દરમિયાન હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં 23.2 મિલિયન ચોરસ ફૂટની સૌથી મોટી ક્લિયરન્સ અને રેકોર્ડ 2.9 મિલિયન ફાઈલો દૂર કરવામાં આવી હતી. આ અત્યાર સુધીની સૌથી મોટી ઝુંબેશ હતી, જેમાં આશરે 1.158 મિલિયન ઓફિસ સ્પેસનો સમાવેશ થતો હતો. વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ (DAR&PG)ના નેજા હેઠળ વિદેશમાં મિશન સહિત 84 મંત્રાલયો અને વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવામાં આવ્યું હતું.

વર્ષ 2021થી ચાલી રહ્યું છે સ્વચ્છતા અભિયાન

સરકારના ત્રણ વરિષ્ઠ મંત્રીઓ, મનસુખ માંડવિયા, કે. રામ મોહન નાયડુ અને ડૉ. જીતેન્દ્ર સિંહે સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું. 2021 અને 2025ની વચ્ચે કેન્દ્ર સરકારે પાંચ સફળ ખાસ ઝુંબેશ શરૂ કરી જેણે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવામાં અને સરકારી બેકલોગ ઘટાડવામાં મદદ કરી. આ પાંચ ઝુંબેશમાં પ્રાપ્ત થયેલી કુલ પ્રગતિમાં "સ્વચ્છતા" અભિયાન હેઠળ 23.62 લાખ કચેરીઓને આવરી લેવા 928.84 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવી, 166.95 લાખ ફાઈલોને કાપી નાખવી અથવા બંધ કરવી અને ભંગારના વેચાણમાંથી રૂપિયા 4,097.24 કરોડની કમાણીનો સમાવેશ થાય છે.

આ વર્ષે વિવિધ મંત્રાલયોના કેબિનેટ મંત્રીઓ અને રાજ્યમંત્રીઓએ ઝુંબેશની સમીક્ષા કરી, સ્ટાફ સાથે નિયમિત વાર્તાલાપ કર્યો અને જાહેર ફરિયાદોનો બેકલોગ ઘટાડવા માટે મંત્રી સ્તરની સમીક્ષા બેઠકો યોજી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ખાસ ઝુંબેશ હેઠળ મંત્રાલયોને તેમના પ્રદર્શનમાં સુધારો કરવા વિનંતી કરી રહ્યા છે.

  • Follow us on: