Cooking Oil: ભારતમાં ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થઈ રહી છે ત્યારે સામાન્ય લોકોને રાહત મળે તેવી તૈયારી ચાલી રહી છે. સરકાર ખાદ્ય તેલ (વેજિટેબલ ઓઈલ) પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા અંગે વિચાર કરી રહી છે. જો આ નિર્ણય લેવામાં આવે તો તેલના વધતા ભાવને કાબૂમાં રાખવામાં મદદ મળી શકે છે. તહેવારો પહેલા આ નિર્ણયથી લોકોને રાહત મળવાની આશા છે. આ માહિતી રોયટર્સના રિપોર્ટમાં સામે આવી છે.
ભારત મોટા પ્રમાણમાં ખાદ્ય તેલ આયાત કરે છે
ભારત વિશ્વમાં સૌથી વધુ ખાદ્ય તેલ આયાત કરતો દેશ છે. દેશ પોતાની કુલ જરૂરિયાતના લગભગ બે તૃતિયાંશ ખાદ્ય તેલની ખરીદી વિદેશમાંથી કરે છે. ભારત મુખ્યત્વે પામ ઓઈલ, સોયાબીન ઓઈલ અને સનફ્લાવર ઓઈલની આયાત કરે છે. આ તેલ મલેશિયા, ઈન્ડોનેશિયા, આર્જેન્ટિના, રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી આવે છે.
એક વર્ષમાં તેલના ભાવ 20% વધ્યા
ભારતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન વેજિટેબલ ઓઈલના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. હવે સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે તહેવારોની સિઝન શરૂ થવાની હોવાથી ખાદ્ય તેલની માંગમાં પણ વધારો થવાની આશા છે. આ સમયગાળા દરમિયાન ઘરોમાં મીઠાઈ, નાસ્તો અને અન્ય તળેલી વસ્તુઓ વધુ બનાવવામાં અને ખરીદવામાં આવે છે. તેથી સરકાર ભાવ પરનો દબાણ ઘટાડવા માટે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવા અંગે વિચાર કરી રહી છે.
ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 5% ઘટાડાની શક્યતા
રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે સરકારનો હેતુ વધતી મોંઘવારીમાંથી લોકોને રાહત આપવાનો છે. જોકે, સરકાર ખેડૂતોના હિતને પણ ધ્યાનમાં રાખશે. સરકાર બેઝિક ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 5 ટકાનો ઘટાડો કરી શકે છે. તેનાથી સ્થાનિક સોયાબીનનો ભાવ સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ સમર્થન સ્તરથી ઉપર રહેવાની શક્યતા છે અને તેલીબિયાંના ખેડૂતોને પણ નુકસાનથી બચાવી શકાય છે.
આ પણ વાંચો: ભારત અને ચીન પર 100% ટેરિફનો ખતરો, યુએસ હાઉસે રશિયા પ્રતિબંધ બિલ મંજૂર કર્યું