સરકારે મોંઘા કાચા તેલના કારણે સરકારી ખજાના પર વધી રહેલા નાણાકીય દબાણને ઘટાડવા માટે સરકારી કંપનીઓમાં વિનિવેશ (Disinvestment)ની પ્રક્રિયાને વધુ ગતિ આપવાનો નિર્ણય કર્યો છે. આગામી મહિનાઓમાં સરકાર દેશની આઠ મોટી જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSU)માં પોતાની હિસ્સેદારી વેચવાની તૈયારીમાં છે. 

સરકારી ભાગીદારી ઓછી કરશે સરકાર 

આ યાદીમાં એલઆઈસી (LIC), હિંદુસ્તાન ઝિંક અને કેટલાક સરકારી બેંકોનો સમાવેશ થાય છે. સરકારનો મુખ્ય હેતુ હિસ્સેદારી વેચાણ દ્વારા વધારાની આવક મેળવી રાજકોષીય સ્થિતિને મજબૂત બનાવવાનો છે. મળતી માહિતી મુજબ માત્ર એલઆઈસીમાં હિસ્સેદારી વેચવાથી સરકારને આશરે ₹10,000 કરોડની આવક થઈ શકે છે, જ્યારે હિંદુસ્તાન ઝિંકમાં હિસ્સો વેચવાથી લગભગ ₹5,000 કરોડ મળવાની શક્યતા છે. 

રોકાણ બેન્કો સાથે સરકારની બેઠકો 

વેચાણ સફળ બને તે માટે સરકાર રોકાણ બેન્કો સાથે સતત બેઠક કરી રહી છે. રોકાણકારોની માગ, શેરના ભાવ અને વેચાણનો યોગ્ય સમય નક્કી કરવા દર અઠવાડિયે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય સરકારી કંપનીઓમાં ભવિષ્યના વિનિવેશ માટે નવા રોકાણ બેન્કોની પણ નિમણૂક કરવામાં આવી રહી છે.

સરકાર IDBI બેન્કમાં બહુમતી હિસ્સેદારી વેચવાની યોજના પર પણ ફરીથી કામ કરી રહી છે. અગાઉ રોકાણકારોની ઓછી રસદારીને કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નહોતી. હવે સરકાર રિઝર્વ પ્રાઈસ ઘટાડવા અને અગાઉ રસ દર્શાવનારા રોકાણકારો પાસેથી નવા પ્રસ્તાવો મગાવવાની યોજના બનાવી રહી છે.

વિદેશી રોકાણમાં ઘટાડો સરકાર માટે પડકારરૂપ

જો કે, વિદેશી રોકાણમાં ઘટાડો સરકાર માટે પડકારરૂપ છે. વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી અંદાજે 29 અબજ ડોલરની મૂડી પાછી ખેંચી લીધી છે, જેના કારણે નિફ્ટી-50 ઈન્ડેક્સમાં પણ લગભગ 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં, કોલ ઈન્ડિયા અને એનએચપીસીના તાજેતરના હિસ્સેદારી વેચાણને સારો પ્રતિસાદ મળતાં સરકારનો વિશ્વાસ વધ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન સરકારનું વિનિવેશ દ્વારા ₹80,000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે.

આ પણ વાંચો : Stock Market Closing: લીલા નિશાનમાં શેરબજાર બંધ, સેન્સેક્સમાં 579.48 પોઇન્ટનો ઉછાળો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.