હાલ સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે ઘણા લોકો પૈસાની જરૂરિયાત પડતા સોનું ગીરવે મૂકીને તેના પર લોન મેળવે છે. જેને આપણે ગોલ્ડ લોન તરીકે ઓળખીએ છીએ. જોકે, હવે તમે ચાંદી ગીરવે મૂકીને પણ લોન મેળવી શકો છે. સિલ્વર લોન લેવી હવે શક્ય બની છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નવું સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સોના સાથે હવે ચાંદી પર પણ લોન આપવાની સુવિધાને મંજૂરી આપવામાં આવી છે.


ચાંદી પર પણ મળશે લોન

જો તમારી પાસે ચાંદીના સિક્કા કે ઘરેણાં છે, તો હવે તેનો ઉપયોગ માત્ર શણગાર પૂરતો સિમિત રહેશે નહીં, તેના પર તમે જરૂરતના સમયે લોન મેળવી શકો છો. ભારતીય રિઝર્વ બેંક દ્વારા પહેલીવાર Reserve Bank of India (Lending Against Gold and Silver Collateral) Directions, 2025 નામથી નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે અંતર્ગત હવે તમને ચાંદી પર પણ લોન મળી શકે છે. આ નિયમ એપ્રિલ 2026 એટલે કે આગામી નાણાકીય વર્ષથી લાગૂ થશે. અત્યાર સુધી બેંક ફક્ત સોનાના ઘરેણાં કે સિક્કા પર ગોલ્ડ લોન ઓફર કરતી હતી. RBI દ્વારા કરવામાં આવેલા નિયમોમાં ફેરફાર બાદ હવે ચાંદીના ઘરેણાં અને સિક્કા પર લોન ઓફર કરશે.

કઈ કઈ વસ્તુઓ પર મળી શકે છે લોન?

નવા ગાઈડલાઈન અનુસાર હવે કોમર્સિયલ બેંક, સ્મોલ ફાઈનાન્સ બેંક, રિજનલ રૂરલ બેંક, કોઓપરેટિવ બેંક, NBFCs (નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની) અને હાઉસિંગ ફાઈનાન્સ કંપની પણ સોના સાથે સાથે ચાંદીના ઘરેણાં અને સિક્કા પર લોન ઓફર કરી શકે છે. RBI દ્વારા ગાઈડલાઈનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, બ્રિક્સ(બુલિયન) પર લોન મળશે નહીં. આવી જ રીતે સોના-ચાંદી સાથે જોડાયેલા રોકાણો જેવા કે ઈટીએફ કે મ્યુચ્યુઅલ ફંડ પર પણ લોન આપવામાં આવશે નહીં.

કેટલી માત્રાના ઘરેણાં અને સિક્કા પર મળશે લોન?

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોમાં જણાવ્યા અનુસાર, વધુમાં વધુ સોનાના ઘરેણાં પર 1 કિલોગ્રામ સુધી લોન આપવામાં આવી શકે છે. સોનાના સિક્કાા પર 50 ગ્રામ સુધી લોન આપી શકાય છે. જ્યારે ચાંદીના ઘરેણા પર 10 કિલોગ્રામ સુધી લોન મેળવી શકાય છે. ચાંદીના સિક્કા પર 500 ગ્રામની મર્યાદામાં લોન ઓફર કરી શકાય છે.

લોન ટૂ વેલ્યુ રેશિયો (LTV Ratio)

RBI દ્વારા આ સ્કીમ માટે લોનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં 2.5 લાખ રૂપિયા સુધીની લોન પર 85 ટકા સુધીની રકમ મળશે. 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન પર 80% સુધીની લોન મળી શકશે. જ્યારે 5 લાખથી વધુની લોન પર 75 ટકાની રકમ મંજૂર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, LTV (લોન ટુ વેલ્યુ) રેશિયો એ એક નાણાકીય મેટ્રિક છે, જે લોનની રકમને કોલેટરલના મૂલ્યાંકન મૂલ્યના ટકાવારી તરીકે રજૂ કરે છે, જેનો ઉપયોગ ધિરાણકર્તાઓ જોખમનું મૂલ્યાંકન કરવા માટે કરે છે.

લોનની ચૂકવણી અને ઘરેણાં પરત મેળવવાના નિયમો

લોનની ભરપાઈ કર્યા બાદ બેંક કે સંસ્થાને 7 કાર્યકારી દિવસોની અંતર ઘરેણાં કે સિક્કા પરત કરવાના રહેશે. 7 દિવસની અંદર થાપણ પરત ન કરવામાં આવે તો પ્રતિદિન રૂપિયા 5000નું વળતર ચૂકવવાનું રહેશે.

જો લોન ન ચૂકવી શકીએ તો?

જો કોઈ ગ્રાહક કોઈ કારણોસર લોન ચૂકવવામાં નિષ્ફળ રહે છે, તો બેંક કે સંસ્થા તેની થાપણની હરાજી કરી શકે છે. આ હરાજી કરતા પહેલા ગ્રાહકને નોટિસ આપવી જરૂરી છે. હરાજી સમયે રિઝર્વ પ્રાઈઝ ઓછામાં ઓછા 90 ટકા સુધી નક્કી કરવામાં આવશે.

  • Follow us on: