મધ્ય પૂર્વમાં વધતો ભૌગોલિક તણાવ, ક્રૂડ ઓઇલના આસમાને પહોંચતા ભાવ અને વૈશ્વિક શેરબજારોમાં જોવા મળતી ભારે અસ્થિરતા વચ્ચે આર્થિક જગતમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આવી સ્થિતિમાં વિશ્વપ્રસિદ્ધ પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ' ના લેખક રોબર્ટ કિયોસાકીએ એક નવી પોસ્ટ દ્વારા વિશ્વભરના રોકાણકારોને ચેતવ્યા છે. તેમના મતે, ઇતિહાસનો સૌથી મોટો આર્થિક કટોકટી અને સ્ટોક માર્કેટ ક્રેશ હવે શરૂ થઈ ચૂક્યો છે.
'રિચ ડેડ્સ પ્રોફેસી' અને ૨૦૨૬માં શરૂ થયેલી કટોકટી
રોબર્ટ કિયોસાકીએ તેમની વાયરલ પોસ્ટમાં યાદ અપાવ્યું કે, તેમણે ૨૦૦૨માં પ્રકાશિત પોતાના પુસ્તક 'રિચ ડેડ્સ પ્રોફેસી' માં આ પ્રકારના મહાસંકટની આગાહી પહેલેથી જ કરી દીધી હતી. તેમણે લખ્યું કે, આ કટોકટીની શરૂઆત ૨૦૨૬માં યુરોપ અને જાપાનથી થઈ ચૂકી છે અને હવે તે ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. આ પુસ્તક લખવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને માર્કેટ ક્રેશથી નુકસાન વેઠવાની જગ્યાએ તેનો લાભ લેવા તૈયાર કરવાનો હતો.
https://twitter.com/theRealKiyosaki/status/2099724241990258775
આ મહામંદી અને માર્કેટ ક્રેશ પાછળના મુખ્ય કારણો
કિયોસાકીના વિશ્લેષણ મુજબ, આ મહાક્રેશ પાછળ કોઈ એક પરિબળ નથી પણ ઘણા વૈશ્વિક કારણો જવાબદાર છે.
AI ને લઈને અતિશય ઉત્સાહ (AI Craze)
ઈરાન અને મધ્ય પૂર્વમાં વધતું યુદ્ધ
દેશો અને કોર્પોરેટ્સ પર વધી ગયેલું અતિશય દેવું
નિવૃત્ત થઈ રહેલી 'બેબી બૂમ' પેઢી
તેમણે ઉમેર્યું કે જો તમારી ઉંમર ૪૦ વર્ષથી વધુ છે અને તમારું રોકાણ નિવૃત્તિ યોજનાઓ (જેમ કે 401k, IRA, RRSP કે સુપરએન્યુએશન) માં છે, તો આ સમય તમારા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
૧૯૨૯ની મહામંદીનો દાખલો અને સાવચેતીનો સમય
લેખકે ઇતિહાસનો દાખલો આપતાં જણાવ્યું કે ૧૯૨૯ની ગ્રેટ ડિપ્રેશન (મહામંદી) ૧૯૫૪ સુધી એટલે કે ૨૫ વર્ષ સુધી ચાલી હતી. જોકે, જે લોકો માનસિક અને આર્થિક રીતે તૈયાર હતા (જેમ કે કેનેડી પરિવાર), તેમના માટે તે સમય પણ સમૃદ્ધિ લાવ્યો હતો. કિયોસાકીના મતે સામાન્ય નાગરિકો ગભરાટમાં આવીને બેંકોમાંથી પોતાના પૈસા ઉપાડવા દોડે, તે પહેલાં હજુ પણ સાવચેત થઈને યોગ્ય પગલાં લેવાનો સમય છે.
કિયોસાકી પોતે શું કરી રહ્યા છે?
વર્ષોથી લોકોને માર્ગદર્શન આપતા કિયોસાકીએ જણાવ્યું કે તેઓ કાગળના "નકલી પૈસા" રોકડમાં રાખવાને બદલે વાસ્તવિક સંપત્તિ ભેગી કરી રહ્યા છે. તેઓ પોતાના બિઝનેસ, રિયલ એસ્ટેટ અને તેલના કુવાઓમાં રોકાણ વધારી રહ્યા છે તથા સોનું, ચાંદી અને બિટકોઇન (Bitcoin) એકઠા કરી રહ્યા છે. તેમણે વાંચકોને મિકી મૈનીનું પુસ્તક 'ધ એન્ટ્રોપી ટ્રેપ' (જે ૨૦૨૬માં પ્રકાશિત થયું છે) વાંચવાની ભલામણ કરતાં કહ્યું કે, આ વર્ષે આ પુસ્તક વાંચવું એ તમારું શ્રેષ્ઠ રોકાણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Vande Bharat or Rajdhani Express: વંદે ભારત કે પછી રાજધાની એક્સપ્રેસ, કઇ ટ્રેનમાં સૌથી વધુ સુવિધાઓ મળશે?