મૂડી બજાર નિયમનકાર સેબીએ માવાના શુગર્સના પ્રમોટરને કંપનીની સિક્યોરિટીઝમાં ઈનસાઈડર ટ્રેડિંગ દ્વારા મેળવેલા 6.17 કરોડ રૂપિયા પરત કરવા માટે આદેશ આપ્યો છે. સપ્ટેમ્બર 2017થી ફેબ્રુઆરી 2018ના સમયગાળા દરમિયાન માવાના શુગર્સ લિમિટેડ (MSL)ના પ્રમોટર અને ખાસ સલાહકાર સિદ્ધાર્થ શ્રીરામની ટ્રેડિંગ પ્રવૃત્તિઓની તપાસ કર્યા પછી સેબીએ આ આદેશ આપ્યો હતો, જ્યારે તેમની પાસે અપ્રકાશિત ભાવ-સંવેદનશીલ માહિતી (UPSI) હોવાનો આરોપ હતો.


કંપનીએ આ નિયમનું કર્યુ ઉલ્લંઘન

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ બજારના ધોરણો અને પ્રોહિબિશન ઓફ ઈનસાઇડર ટ્રેડિંગ (PIT) નિયમોની જોગવાઈઓના સંભવિત ઉલ્લંઘનોને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સિદ્ધાર્થ શ્રીરામનું મે 2021માં મૃત્યુ થયું હતું અને મૃત્યુ પછી, સિદ્ધાર્થના શેર તેમના પુત્ર અથવા તેમના કાયદેસર વારસદાર કૃષ્ણ શ્રીરામને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. MSLની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાયેલી ડિરેક્ટર બોર્ડની યાદી (13 ઓગસ્ટ, 2024 ના રોજ) પરથી SEBIને જાણવા મળ્યું કે નોટિસ આપનાર (કૃષ્ણ શ્રીરામ) MSLના 'બોર્ડના અધ્યક્ષ' છે. આમ, રિફંડની વિભાવનાની આસપાસની કાયદાકીય જોગવાઈઓ અને પૂર્વધારણાઓને ધ્યાનમાં રાખીને સિદ્ધાર્થ શ્રીરામના કાનૂની વારસદાર/કાનૂની પ્રતિનિધિ તરીકે, કૃષ્ણ શ્રીરામ, UPSIના કબજામાં હોવા છતાં MSLના શેરમાં વેપાર કરીને બચાવેલા ખોટા નફા/નુકસાનને પરત કરવા માટે જવાબદાર છે.

જો રકમની ચૂકવણી નહીં કરવામાં આવે તો શું?

વધુમાં તમને જણાવી દઈએ કે નિયમનકારે કૃષ્ણ શ્રીરામને 24 નવેમ્બર, 2017થી આ આદેશની તારીખ સુધી ગણતરી મુજબ વાર્ષિક 12 ટકાના દરે વ્યાજ સાથે 45 દિવસની અંદર રૂપિયા 6.17 કરોડ પરત કરવા જણાવ્યું છે. જો નોટિસ આપનાર વ્યક્તિ આ ઓર્ડરની તારીખથી 45 દિવસની અંદર વ્યાજ સાથે રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો રકમની વાસ્તવિક ચુકવણીની તારીખ સુધી વ્યાજ વધતું રહેશે. નિયમનકારે આદેશમાં જણાવ્યું હતું કે નોટિસ મેળવનાર પાસેથી ઉપાડેલી રકમ રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળમાં જમા કરવામાં આવશે.

  • Follow us on: