અફઘાનિસ્તાન સામે તાજેતરમાં પૂર્ણ થયેલી 3 મેચની T20I શ્રેણીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે આ શ્રેણીમાં 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને એક પણ મેચમાં રમવાની તક ન મળતાં ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જોવા મળી હતી. ઝિમ્બાબ્વે પ્રવાસમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહીને 151 રન બનાવનાર વૈભવને સમગ્ર શ્રેણી દરમિયાન બેન્ચ પર જ બેસવું પડ્યું હતું.શ્રેણી ભારતે પોતાના નામે કરી લીધા બાદ અંતિમ મેચમાં વૈભવને તક મળવાની આશા હતી. પરંતુ ટીમ મેનેજમેન્ટે ફરી એક વખત અનુભવી વિકેટકીપર-બેટર સંજુ સેમસન પર વિશ્વાસ મૂક્યો. શ્રેણી પૂર્ણ થયા બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જ્યારે વૈભવને તક ન મળવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ટીમના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું હતું.

સંજુ સેમસન પર ગંભીરનો વિશ્વાસ

ગૌતમ ગંભીરના જણાવ્યા પ્રમાણે ભારતીય ટીમનું ધ્યાન એવા જ ટીમ કોમ્બિનેશનને આગળ વધારવા પર હતું, જેના આધારે ભારતે T20 વર્લ્ડ કપમાં સફળતા મેળવી હતી. તેમણે સંજુ સેમસનના અનુભવ અને છેલ્લા કેટલાક વર્ષોના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો.ગંભીરે કહ્યું કે કોઈ પણ ખેલાડી પોતાની ક્ષમતા વગર વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની શકતો નથી. તેમના મતે, માત્ર 3-4 મેચમાં ખરાબ પ્રદર્શન થયું હોય એટલા માટે કોઈ ખેલાડીને તરત જ ટીમમાંથી બહાર કરી શકાય નહીં.ગંભીર માટે વૈભવને તક આપવા સંજુ સેમસનને બહાર રાખવાનો નિર્ણય અગાઉ મુશ્કેલ રહ્યો હતો. પરંતુ તેમણે સેમસન પર વિશ્વાસ જાળવી રાખ્યો હતો. સેમસને અફઘાનિસ્તાન સામેની 3 મેચની શ્રેણીમાં 2 અડધી સદી સાથે કુલ 117 રન બનાવીને આ વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો.

વૈભવ સૂર્યવંશીને હજુ કરવી પડશે રાહ

વૈભવ સૂર્યવંશીની પ્રતિભા અંગે ગંભીરને કોઈ શંકા નથી. જોકે ભારતીય ટીમમાં અનુભવી ખેલાડીઓની હાજરીને કારણે યુવા ખેલાડીએ પોતાની તકની રાહ જોવી પડશે.ગંભીરે સ્પષ્ટ કર્યું કે વૈભવ સાથે ટીમ મેનેજમેન્ટની વાતચીત પહેલેથી જ સ્પષ્ટ છે. ટીમ તેના ટેલેન્ટથી વાકેફ છે અને તે ભવિષ્યમાં શું કરી શકે છે તે પણ જાણે છે. પરંતુ જે ખેલાડીએ લાંબા સમય સુધી સતત સારું પ્રદર્શન કર્યું હોય તેને અનુભવના આધારે પ્રાથમિકતા મળવી સ્વાભાવિક છે.ગંભીરે વધુમાં કહ્યું કે જ્યારે વૈભવને તક મળશે ત્યારે તેને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. તેમના મતે ભારતીય ક્રિકેટની ખાસિયત જ એ છે કે ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે સતત સ્પર્ધા રહે છે.

https://x.com/iamnotakshayr/status/2100647826963533840?s=20


વૈભવની નજર એશિયન ગેમ્સ પર 

વૈભવની ઉંમર માત્ર 15 વર્ષ છે અને તેની પાસે ભારતીય ક્રિકેટમાં લાંબી કારકિર્દી બનાવવાનો સમય છે. તેથી અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં એક પણ મેચ ન રમાડવાનો નિર્ણય તેના ભવિષ્ય અંગેનો અંતિમ નિર્ણય માનવો યોગ્ય નથી. હવે ક્રિકેટ ચાહકોની નજર આગામી જાપાન T20I શ્રેણી અને એશિયન ગેમ્સ પર રહેશે, જ્યાં વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમ તરફથી મેદાનમાં ઉતરવાની તક મળી શકે છે.

આ પણ વાંચો - Rohit sharmaનું કીર્તિમાન ધ્વસ્ત: Abhishek Sharma બન્યો T20I માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન!