વુમન્સ એશિયા કપ 2026 જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટ્રોફી સ્વીકારવાને લઈને મોટો નિર્ણય લીધો હતો. ફાઇનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને ભારતે 8મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો. જોકે, ખિતાબ જીત્યા બાદ ટ્રોફી સમારોહ ચર્ચામાં રહ્યો હતો.ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCના પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ હોવા ઉપરાંત પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ છે. આ કારણસર ભારતીય ટીમે તેમની પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા 2025ના પુરુષ એશિયા કપ દરમિયાન પણ ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી લીધી નહોતી.હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ સમગ્ર મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.

રાજીવ શુક્લાએ નકવીને લઈ શું કહ્યું

રાજીવ શુક્લાના જણાવ્યા અનુસાર, ભારતીય ટીમના આ નિર્ણય સામે મોહસિન નકવીએ કોઈ વાંધો વ્યક્ત કર્યો નહોતો.તેમણે કહ્યું કે BCCIમાં ચર્ચા કર્યા બાદ ટીમને નિર્ણયની જાણ કરવામાં આવી હતી.શુક્લાએ જણાવ્યું કે ટ્રોફી સમારોહ દરમિયાન નકવી લગભગ 40થી 45 મિનિટ સુધી ટ્રોફી આપવા માટે ઉભા રહ્યા હતા. જોકે, ભારતીય ટીમ તેમની પાસેથી ટ્રોફી લેવા માટે આગળ આવી નહોતી. ત્યારબાદ નકવી સ્ટેડિયમમાંથી ચાલ્યા ગયા હતા.રાજીવ શુક્લાએ જણાવ્યું કે આ નિર્ણય સામૂહિક ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો અને નકવીએ પણ તેના પર કોઈ સવાલ કર્યો નહોતો. તેમના જણાવ્યા પ્રમાણે, નકવીએ જે ખેલાડીઓને પુરસ્કાર આપવાના હતા તેમને પુરસ્કાર આપ્યા અને ત્યારબાદ ત્યાંથી નીકળી ગયા.

https://x.com/ANI/status/2099522412480278698?s=20

BCCI સચિવે પણ નિર્ણયનું કારણ જણાવ્યું હતું

ટ્રોફી ન લેવાના નિર્ણય બાદ BCCIના સચિવ દેવજીત સૈકિયાએ પણ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય દેશના હિત અને લોકોના સન્માનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.સૈકિયાના જણાવ્યા અનુસાર, ભારતીય ટીમ એવા લોકો પાસેથી ટ્રોફી સ્વીકારી શકે નહીં, જેમને આ સમયે ભારતીય પક્ષ માટે સ્વીકાર્ય માનવામાં આવતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે પુરુષ ટીમે અગાઉ એશિયા કપ જીત્યા બાદ જે નિર્ણય લીધો હતો, ભારતીય મહિલા ટીમે પણ તેના પ્રત્યે સન્માન અને સમર્થન દર્શાવ્યું છે.BCCI સચિવે વધુમાં જણાવ્યું હતું કે પુરુષ એશિયા કપની ટ્રોફી જીત્યાને લગભગ એક વર્ષ થઈ ગયું હોવા છતાં તે હજુ સુધી ભારતની ધરતી પર પહોંચી નથી.

ભારતે 8મી વખત એશિયા કપ જીત્યો

વુમન્સ એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થયો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 72 રનથી જીત મેળવીને 8મી વખત વુમન્સ એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી.હવે ટ્રોફી વિવાદ બાદ સૌની નજર એ વાત પર છે કે ભારતની મહિલા અને પુરુષ ટીમને એશિયા કપની ટ્રોફી સત્તાવાર રીતે ક્યારે સોંપવામાં આવશે.

આ પણ વાંચો - IND vs AFG : બીજી T20 પહેલા ટીમ ઇન્ડિયામાં થશે ફેરફાર? કોને મળશે પ્લેઇંગ 11માં તક?