અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાનો દાવો મજબૂત કર્યો છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન અજિંક્ય રહાણે હાલમાં વૈભવને ટોપ-૩માં સ્થાન આપવાના પક્ષમાં નથી.
કોઈ પણ પ્રકારના પ્રયોગો કરવાની જરૂર નથી
આ અંગે સ્પષ્ટતા કરતા અજિંક્ય રહાણેએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં રમેલા ટોપ-3 ખેલાડીઓ સાથે જ આગળ વધવું જોઈએ. તેમના મતે હાલમાં ટીમની બેટિંગ ઓર્ડરમાં કોઈ પણ પ્રકારના પ્રયોગો કરવાની જરૂર નથી. રહાણેના જણાવ્યા અનુસાર, અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન ટીમના ટોપ-3 બેટ્સમેન હોવા જોઈએ. અજિંક્ય રહાણેએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે ટોપ-3માં એ જ હોવા જોઈએ, જેઓ વર્લ્ડ કપમાં રમ્યા હોય.
સેમસનને ફરી તક મળવી જોઈએ
રહાણેએ સંજુ સેમસનની બાબતમાં પણ પોતાનો અભિપ્રાય રજૂ કરતા કહ્યું કે, સેમસને ટીમ માટે સારો દેખાવ કર્યો છે અને માત્ર બે-ત્રણ ખરાબ ઇનિંગ્સ બાદ તેને બહાર કરવો યોગ્ય નથી. રહાણે ઈચ્છે છે કે આ વિકેટકીપર બેટ્સમેનને વધુ એક તક મળવી જોઈએ. સેમસને સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ બે કે ત્રણ ખરાબ ઇનિંગ્સ પછી તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો. હું ઈચ્છું છું કે તેને ફરીથી તક આપવામાં આવે. અભિષેક અને ઈશાને પણ આપણા માટે ઉમદા પ્રદર્શન કર્યું છે.
ટોપ-3માં સેમસન, અભિષેક અને ઈશાન જ હોવા જોઈએ
ઝિમ્બાબ્વે સામેની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીએ બે અડધી સદી ફટકારી હતી અને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બન્યો હતો. આના કારણે ટોપ ઓર્ડરમાં તેના સમાવેશ અંગેની ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે. જો કે, અજિંક્ય રહાણેનું માનવું છે કે, વૈભવ પાસે હજુ ઘણો સમય છે અને તેને ઉતાવળમાં કોઈ સ્થાપિત ખેલાડીના સ્થાને ન બેસાડવો જોઈએ. પોતાની પસંદગી વ્યક્ત કરતા અજિંક્ય રહાણેએ કહ્યું કે, વૈભવને પોતાની તકો ચોક્કસ મળશે અને તેનો સમય પણ આવશે. પરંતુ હાલમાં મને લાગે છે કે ટોપ-3માં સેમસન, અભિષેક અને ઈશાન જ હોવા જોઈએ.'
વૈભવની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત
જુલાઈમાં ઇંગ્લેન્ડ સામેની મેચ દ્વારા વૈભવે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની સાથે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. હાલમાં તે ટીમમાં પોતાનું સ્થાન કાયમી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજી બાજુ, ઝિમ્બાબ્વે શ્રેણીમાં આરામ કર્યા બાદ સંજુ સેમસનની વાપસીથી ટોપ ઓર્ડરમાં સ્પર્ધા વધુ તીવ્ર બની ગઈ છે. આ સિવાય પણ વૈભવે પોતાની કારકિર્દી દરમિયાન અનેક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.