ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો દરમિયાન ઉદ્ભવતા વિવાદો અંગે દેશના દિગ્ગજ ખેલાડીઓ અવારનવાર વિરોધ નોંધાવતા રહ્યા છે. હાલમાં જ મહિલા એશિયા કપના ટ્રોફી વિતરણ સમારોહ દરમિયાન સર્જાયેલા વિવાદને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે સન 1983ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સ્ટાર ખેલાડી મદન લાલે આકરું વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો વારંવાર આવું જ થવાનું હોય તો ભારતે પાકિસ્તાન સામે રમવાનું જ બંધ કરી દેવું જોઈએ.

ભારતીય ટીમ પ્રેઝન્ટેશન સમારોહથી દૂર રહી

હકીકતમાં, એશિયા કપના ટ્રોફી વિતરણ સમયે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવી સાથે જોડાયેલો વધુ એક વિવાદ સામે આવ્યો હતો. આ જ કારણોસર ભારતીય ટીમ પ્રેઝન્ટેશન સમારોહથી દૂર રહી હતી. મંચ પર રાજીવ શુક્લા જેવા સિનિયર બીસીસીઆઈ અધિકારીઓ હાજર હોવા છતાં, ભારતીય ખેલાડીઓએ નકવીના હાથે ટ્રોફી કે મેડલ સ્વીકારવાનું ટાળ્યું હતું.

સોશિયલ મીડિયા પર મદન લાલનો આક્રોશ 

આ સમગ્ર ઘટનાક્રમથી નારાજ થઈને પૂર્વ ભારતીય ક્રિકેટર મદન લાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, દરેક વખતે આ જ જૂની વાર્તાનું પુનરાવર્તિત થાય છે. જો આવું જ વર્તન થવાનું હોય, તો આપણે કોઈ પણ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે મેચ રમવી જ ન જોઈએ. જોકે, હું જાણું છું કે આ અંગેનો આખરી નિર્ણય બીસીસીઆઈ બોર્ડે જ લેવાનો છે. 

રમતમાંથી રાજકારણ દૂર રાખવાની અપીલ

ઉલ્લેખનીય છે કે, મદન લાલે આ મુદ્દે પોતાનો રોષ ઠાલવ્યો હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. આ અગાઉ વર્ષ 2025ના એશિયા કપ દરમિયાન પણ આવો જ વિવાદ સર્જાયો હતો. તે સમયે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો, પરંતુ મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. તે સમયે પણ મદન લાલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો મડાગાંઠ ઉકેલાતી ન હોય તો નકવીએ અન્ય કોઈ વ્યક્તિના હાથે ટ્રોફી અપાવવી જોઈતી હતી. ટ્રોફી જીતવાની ક્ષણ ખેલાડીઓની ખુશી અને ફેન્સના ઉત્સવ માટે હોય છે, રાજકારણ કે પરસ્પરના તણાવ માટે નહીં.