અમદાવાદ શહેરમાં વધુ એકવાર પૂરઝડપે દોડતા વાહને અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે. કે. નગર પાસે એક બેફામ કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી જ એક ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘરનો મુખ્ય ગેટ અને દિવાલ ધડાકાભેર તૂટી પડ્યા હતા.


ઘરના આંગણે પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ

ઘટનાની મળતી માહિતી અનુસાર, કારચાલક પૂર ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો, જે દરમિયાન અચાનક કાબૂ ગુમાવતા કાર ઘરના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી. કારની ટક્કરથી ત્યાં પાર્ક કરેલું ટુ-વ્હીલર પણ કચડાઈ ગયું હતું અને મકાનનો મુખ્ય લોખંડનો ગેટ ધરાશાયી થયો હતો. સદનસીબે તે સમયે આંગણામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

કારચાલક ઈજાગ્રસ્ત, સારવાર હેઠળ

આ જોરદાર ટક્કરને કારણે કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને કારચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી ઈજાગ્રસ્ત ચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો અને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.




પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં કારચાલકે પૂર ઝડપના કારણે કાબૂ ગુમાવ્યો હોવાનું અનુમાન છે. શું કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે બેફામ વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.


આ પણ વાંચો - Happy birthday Ahmedabad : અમદાવાદમાં ભજીયાની લાઈન કેમ લાગે છે? જાણો આસ્ટોડિયાની ખાસિયત


  • Follow us on: