અમરેલી જિલ્લામાં કુદરતી સંપત્તિ અને નદીઓના પટમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરતી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ખાણ અને ખનીજ વિભાગ સતત સક્રિય બન્યું છે. તાજેતરમાં અમરેલીના મેડી અને નાના માંડવાળા ગામ પાસેથી પસાર થતી પવિત્ર શેત્રુજી નદીના કાંઠે ચાલી રહેલી મોટા પાયાની બેફામ રેતી ચોરી પર ખાણ-ખનીજ વિભાગની ટીમે અચાનક રેડ કરી હતી. નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે કિંમતી રેતી ઉલેચાઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ત્રાટક્યો હતો.

લોડર, ટ્રેક્ટર અને ડમ્પર વડે ચાલતું હતું મોટું કૌભાંડ

રેડ દરમિયાન નજરે પડેલા દ્રશ્યો ચોંકાવનારા હતા. શેત્રુજી નદીના કાંઠેથી ભારેખમ લોડર, ટ્રેક્ટર અને ડમ્પર જેવા વાહનોનો ઉપયોગ કરીને મોટા પાયે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને આ આખા નેટવર્કને રંગેહાથ ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પરથી સરકારી સંપત્તિ અને નદીના નિવસનતંત્રને નુકસાન પહોંચાડીને લાખો રૂપિયાની રેતી ચોરી કરવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

ખનીજ માફિયાઓની દાદાગીરી, અધિકારીઓને આપી ધમકી

સરકારી ટીમને જોઈને ખનીજ માફિયાઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, કાયદાનો ડર રાખવાને બદલે ખનીજ માફિયાઓએ પોતાની દાદાગીરી બતાવી હતી. ખાણ-ખનીજ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ જ્યારે સીઝિંગની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે માફિયાઓએ ફરજ પરના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરીને તેમને જાનથી મારી નાખવાની અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપી હતી. સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરીને માફિયાઓએ પોતાની અસામાજિક માનસિકતા છતી કરી હતી.

ડમ્પર સીઝ, ટ્રેક્ટર-લોડર લઈને માફિયાઓ નાસી છૂટ્યા

અધિકારીઓ સાથે બોલાચાલી અને ધમકીઓ આપ્યા બાદ, સ્થિતિનો ફાયદો ઉઠાવીને ખનીજ માફિયાઓ પોતાના લોડર અને ટ્રેક્ટર જેવા વાહનો લઈને સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ ખાણ-ખનીજ વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પરથી રેતી ભરેલું 1 ડમ્પર જપ્ત કરી લીધું હતું. ટીમે આ વાહનને સીઝ કરીને સરકારી તાબામાં લીધું છે અને ઘટના સ્થળેથી નાસી છૂટેલા માફિયાઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ દાખલ, ખનીજ ચોરો સામે કડક કાનૂની શિકંજો

સરકારી કર્મચારીઓને ધમકી આપવા, ફરજમાં રુકાવટ ઊભી કરવા અને ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવા બદલ ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ખનીજ માફિયાઓ સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કડક કાર્યવાહીથી સમગ્ર અમરેલી જિલ્લાના ભૂમાફિયાઓ અને ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. ખાણ-ખનીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, નદીઓના પટને નુકસાન પહોંચાડતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં.


આ પણ વાંચો - 20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ