ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે GIDC પોલીસ સક્રિય બની છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરાયેલી 5 મોટરસાયકલ સાથે કુલ ત્રણ ઇસમોને દબોચી લીધા છે. આ તપાસમાં ચોરીના વાહનો ખરીદનારા એક ગેરેજ સંચાલકનો પણ પર્દાફાશ થયો છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના મોતાલી ગામની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજુકુમાર પ્રજાપતિએ પોતાના મિત્રની બાઈક ભડકોદ્રાના એપલ પ્લાઝા પાસે પાર્ક કરી હતી, જ્યાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 20 હજારની કિંમતની બાઈક ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આવી જ રીતે સ્વામિનારાયણ મંદિર પાસે થી પણ રૂપિયા 30 હજારની કિંમતની બાઈકની ચોરી થઈ હતી. સતત વધતી ચોરીઓને પગલે GIDC પોલીસે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી હતી.

બાતમીના આધારે તસ્કરો ઝડપાયા

તપાસ દરમિયાન પોલીસે ભડકોદ્રાના અયોધ્યા નગરમાં રહેતા મયુર વિજય બોરસે અને આયુષકુમાર વિનોદસિંગ નામના બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસે કડક પૂછપરછ કરતા બંનેએ કબૂલાત કરી હતી કે, તેઓએ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 5 બાઈકની ચોરી કરી છે.

ચોરીના વાહનો ક્યાં વેચતા હતા?

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તેઓ ચોરી કરેલી બાઈકો કોસમડી સ્થિત 'આયાના ઓટો ગેરેજ'ના સંચાલક મોહમ્મદ અનસ સમસૂલ હસન સિદ્દીકીને વેચી દેતા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગેરેજ સંચાલકની પણ ધરપકડ કરી છે અને તમામ 5 વાહનો જપ્ત કર્યા છે. હાલ પોલીસ આ ટોળકી અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Bharuch : ડોર ટુ ડોર સેવા બંધ રહેતા નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ, કામદારોએ સીટી વગાડી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું