ગોહિલવાડની ધરતી પર જાણે લોહીની નદીઓ વહી રહી હોય તેમ ગુનાખોરીના ગ્રાફમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, કારણ કે છેલ્લા માત્ર 14 દિવસમાં જ હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે. તાજેતરની ઘટનામાં, શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં નજીવી બાબતે એક 23 વર્ષીય આશાસ્પદ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે.


શું છે સમગ્ર મામલો?

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક સાહિલ સૈયદ મોડી રાત્રે કુંભારવાડા વિસ્તારમાં હતો, ત્યારે પાંચ શખ્સોએ તેની પાસે એક્ટિવાની માંગણી કરી હતી. સાહિલે પોતાનું એક્ટિવા આપવાની સ્પષ્ટ ના પાડી દેતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા પાંચેય શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી સાહિલ પર છરીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કર્યો હતો.

યુવકનું ઘટનાસ્થળે જ મોત

હુમલાખોરોએ સાહિલના શરીર પર મનફાવે તેમ ઘા ઝીંકતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. એક સામાન્ય એક્ટિવા જેવી નજીવી બાબતે યુવાનનો જીવ લેવાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.




પોલીસ કાર્યવાહી

આ ઘટનાની જાણ થતા જ બોરતળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પાંચેય આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં ટૂંકા ગાળામાં બનેલી ત્રીજી હત્યાએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Bhavnagar જેલમાં રૂમાલ પાર્સલનો કીમિયો, જેલની સુરક્ષા ભેદીને અંદર ફેંકાયો તમાકુ અને નશાનો સામાન


  • Follow us on: