ગુજરાતી કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ 26 નવેમ્બરે લગ્ન કર્યા હતા. કપલે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને આ ખુશખબર આપી છે. ફેન્સ આતુરતાથી કપલના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. પૂજાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લગ્નની ઘણી સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરો મંડપમાં લેવામાં આવી છે જેમાં કપલ લગ્નની વિધિઓ કરતા જોવા મળે છે.
મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાયા
મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ તેમના ખાસ દિવસની તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે 'હું અને હું થી હને, અમે અમારા બની ગયા અને અમે હંમેશા ખુશ રહીયે.' આ સાથે તેણે હાર્ટ અને નજર ન લાગે તે ઈમોજી શેર કર્યું છે.
કપલ ક્યાં જશે ફરવા?
મલ્હાર ઠાકર અને પૂજા જોષીના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર કપલના હનીમૂનને લઈને અનેક ચર્ચાઓ થતી હતી. આ કપલ ક્યાં ફરવા જશે તેને લઈને અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હતી.

પૂજા જોષીએ તોડ્યું મૌન
તાજેતરમાં પૂજા જોષીએ ગુજ્જુ રોક્સની એક પોસ્ટમાં જડબાતોડ જવાબ આપીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે અને કહ્યું છે કે માલદીવ્સ તો મેં આને મલ્હાર એ જવાની ના જ પાડી છે. જે દેશ, ભારત વિશે કાઈ પણ બોલે, ત્યાં તો ના જ જવાય! એટલે અમે પહેલાં અમૃતસર સુવર્ણ મંદિર જઈશું! ભારત માતા કી જય!
ફેન્સે આપી પ્રતિક્રિયા
પૂજા જોષીએ સોશિયલ મીડિયા પોસ્ટની કોમેન્ટમાં આપેલો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેની કોમેન્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, 'મલ્હાર ભાઈ હું આપના અભિનય નો તો ફેન હતો, પણ હવે આપની આ વાતથી આપના વ્યક્તિત્વ નો પણ ફેન થઈ ગયો'. આ સિવાય અન્ય યુઝરે કોમેન્ટ કરીને કહ્યું છે કે, 'ખરેખર હિંમત જોઈએ બોલવામાં, આભાર તમારો'. આ સિવાય અન્ય યુઝર ઈમોજી શેર કરીને આ કપલના વિચાર પર પ્રેમ વરસાવી રહ્યા છે.