બોલીવુડ એક્ટર આમિર ખાન હાલમાં રજનીકાંતની ફિલ્મ 'કુલી'માં તેના કેમિયો માટે ચર્ચામાં છે. આ દરમિયાન આમિરના ભાઈ ફૈઝલ ખાને એક મોટો નિર્ણય લીધો છે. ફૈઝલ ખાને તેના ભાઈ આમિર અને પરિવાર સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે.
તાજેતરમાં ફૈઝલ ખાને આમિર અને પરિવાર વિશે ચોંકાવનારી વાતો કહી હતી, જેના પર પરિવારે સત્તાવાર નિવેદન જાહેર કરવું પડ્યું. હવે ફૈઝલ ખાને પરિવાર સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે.
ફૈઝલ ખાને પરિવાર સાથે તોડ્યા સંબંધો
મીડિયા રિપોર્ટ મુજબ ફૈઝલ ખાને શેર કર્યું કે હું ફૈઝલ ખાન, આજથી મારા પરિવારના બધા સભ્યો સાથેના બધા કૌટુંબિક સંબંધો તોડી નાખું છું. તેને કહ્યું કે આજથી મને મારા સ્વર્ગસ્થ પિતા તાહિર હુસૈન, મારી માતા ઝીનત તાહિર હુસૈન અને પરિવારના અન્ય સભ્યોનો ભાગ ગણવામાં આવશે નહીં. ફૈઝલે કહ્યું કે આજથી હું મારા ભાઈ આમિર ખાનના ઘરમાં રહીશ નહીં.
ફૈઝલ ખાને લગાવ્યા આરોપો
આ સિવાય હું મારા ભાઈ આમિર ખાન પાસેથી કોઈ ખર્ચ નહીં લઉં. હું બધાને કહેવા માગુ છું કે મેં આ નિર્ણય ઘણો વિચાર કર્યા પછી લીધો છે. ફૈઝલ ખાને તાજેતરમાં દાવો કર્યો હતો કે તેને તેના જ ઘરમાં બળજબરીથી દવાઓ આપવામાં આવી હતી અને તેને નજરકેદ રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ફૈઝલ ખાનના આરોપો બાદ આમિર ખાનના પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું.
પરિવારે બહાર પાડ્યું હતું એક સત્તાવાર નિવેદન
આ નિવેદનમાં પરિવારે કહ્યું હતું કે ફૈઝલ ખાને તેની માતા ઝીનત તાહિર હુસૈન, બહેન નિખત હેગડે અને તેના ભાઈ આમિર વિશે જે પણ ખોટી વાતો કહી છે તે ખૂબ જ પીડાદાયક છે. પરિવારે તેના નિવેદનમાં કહ્યું હતું કે ફૈઝલે ખોટી રીતે વસ્તુઓ રજૂ કરી છે. તેથી અમે એક સ્વરમાં કહેવા માગીએ છીએ કે તેની સાથે સંબંધિત દરેક નિર્ણય ઘણા ડોકટરો અને નિષ્ણાતોની સલાહ લીધા પછી લેવામાં આવ્યો હતો.