ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ આખા દેશને ચોંકાવી દીધો છે. મેઘાણીનગરમાં IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા અને અચાનક જ આ દુર્ઘટના બની હતી. આવી સ્થિતિમાં બોલીવુડ સેલેબ્સ પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સની દેઓલ, રિતેશ દેશમુખ, પરિણીતી ચોપરાથી લઈને દિશા પટણી સુધી તમામ લોકોએ અકસ્માત પર પોસ્ટ કરી છે. સ્ટાર્સે પોસ્ટ દ્વારા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.


પરિણીતી ચોપરાએ આપી પ્રતિક્રિયા

પરિણીતી ચોપરાએ પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. તેણીએ પોસ્ટમાં લખ્યું છે કે, 'એર ઇન્ડિયાના વિમાનમાં સવાર લોકોના પરિવારના દુ:ખની કલ્પના પણ કરી શકાતી નથી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓને આ મુશ્કેલ સમય સહન કરવાની શક્તિ આપે.'

દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ અને પીડાદાયક: કંગના રનૌત

કંગના રનૌતે લખ્યું હતું કે, 'અમદાવાદ વિમાન દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. હું ભગવાનને દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું, ભગવાન આ મુશ્કેલીની ઘડીમાં બધા અસરગ્રસ્ત પરિવારોને શક્તિ આપે.'

આ દુર્ઘટનાનો સામનો કરવાની હિંમત મળે: દિશા પટણી

દિશા પટણીએ લખ્યું હતું કે, 'અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. મને આશા છે કે કેટલાક લોકો બચી ગયા હશે અને તેમને સમયસર મદદ મળશે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો માટે હું પ્રાર્થના કરું છું. મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને આ દુર્ઘટનાનો સામનો કરવાની હિંમત મળે.'

અક્ષય કુમારે દુઃખ વ્યક્ત કર્યું

અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'એર ઈન્ડિયાના અકસ્માતથી હું આઘાત અને આશ્ચર્યચકિત છું. હું આ સમયે ફક્ત પ્રાર્થના કરી રહ્યો છું.'

મુશ્કેલ સમયમાં હૃદયથી દરેક માટે પ્રાર્થના: સની દેઓલ

સની દેઓલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું હતું કે તેમના પરિવારને આ ખરાબ સમયનો સામનો કરવાની શક્તિ આપે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે, અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું અને હજુ પણ આઘાતમાં છું. મારી સંવેદના બધા મુસાફરો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત બધા લોકો સાથે છે. આ મુશ્કેલ સમયમાં હું મારા હૃદયથી દરેક માટે પ્રાર્થના કરી રહ્યો છું.

સાથે જ જહન્વી કપૂર, સોનુ સૂદ, આર માધવન સહિત અનેક બોલીવુડથી લઈ ટીવી સ્ટારે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.





  • Follow us on: