ભારતીય સંગીત જગત અને કરોડો સંગીત પ્રેમીઓ માટે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોતાના જાદુઈ અવાજથી લાખો લોકોના દિલ જીતનાર લોકપ્રિય ગાયક અરિજીત સિંહે (Arijit Singh) 'પ્લેબેક સિંગિંગ' એટલે કે ફિલ્મો માટે ગીતો ગાવાનું બંધ કરવાનો કઠોર નિર્ણય લીધો છે. આ જાહેરાત તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' દ્વારા કરતા ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે તે સંગીતની દુનિયામાંથી સંપૂર્ણ સંન્યાસ નથી લઈ રહ્યો.
સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ
નવા વર્ષની શરૂઆતમાં જ ચાહકોને આંચકો આપતા અરિજીત સિંહે લખ્યું હતું કે, "સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષોથી એક શ્રોતા તરીકે મને જે અપાર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌનો આભારી છું. આજે મારે એક જાહેરાત કરવી છે કે હવેથી હું પ્લેબેક સિંગર તરીકે કોઈપણ નવા પ્રોજેક્ટ્સહાથ પર નહીં લઉં. હું અહીં જ અટકી રહ્યો છું.
હવે શું કરશે અરિજીત?
પોતાની પોસ્ટમાં આગળ લખતા અરિજીત સિંહે સ્પષ્ટતા કરી છે કે તેની અત્યાર સુધીની સફર અદ્ભુત રહી છે. પોતાને એક 'નાના કલાકાર' ગણાવતા તેણે કહ્યું કે, "ભવિષ્યમાં હું સંગીતને વધુ ઊંડાણપૂર્વક અને નજીકથી સમજવા માંગુ છું." તેનો ઈશારો સ્પષ્ટ છે કે હવે તે બોલિવૂડની રેસમાંથી બહાર નીકળીને 'સ્વતંત્ર સંગીત'અને પોતાના પર્સનલ આલ્બમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. એટલે કે અરિજીત ગાવાનું બંધ નથી કરી રહ્યો, માત્ર ફિલ્મો માટે અવાજ આપવાનું બંધ કરી રહ્યો છે.
પહેલાથી નક્કી થયેલા પ્રોજેક્ટ્સનું શું?
ચાહકો માટે એક સારા સમાચાર એ છે કે અરિજીત પાસે હાલમાં જે ફિલ્મોના કોન્ટ્રાક્ટ છે, તે તે પૂરા કરશે. તેણે ખાતરી આપી છે કે જે પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે અથવા રેકોર્ડ થઈ ચૂક્યા છે, તે ગીતો શ્રોતાઓ સુધી ચોક્કસ પહોંચશે. એટલે કે આ વર્ષે પણ તેના અવાજમાં કેટલાક નવા ગીતો સાંભળવા મળી શકે છે.
છેલ્લે કઈ ફિલ્મમાં સંભળાશે અવાજ?
તાજેતરમાં જ અરિજીત સિંહનું એક નવું ગીત "માતૃભૂમિ રિલીઝ થયું છે. આ ગીત સુપરસ્ટાર સલમાન ખાનની આગામી મેગા બજેટ ફિલ્મ "બેટલ ઓફ ગલવાનનું છે.
આ પણ વાંચો - ‘Vadh 2’નું ટ્રેલર રિલીઝ, રડીને નીના ગુપ્તાની વિનંતી, શું સંજય મિશ્રા કરશે મદદ?