સિંગર ઝુબીન ગર્ગના મૃત્યુ અંગેનું રહસ્ય હજુ પણ ખુલતું નથી. 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે સિંગરના મૃત્યુથી બધા ચોંકી ગયા હતા. હવે ઝુબીનના મૃત્યુ કેસમાં એક નવી અપડેટ સામે આવી છે. ઝુબીનના બેન્ડમેટ અને સાક્ષી શેખર જ્યોતિ ગોસ્વામીએ સિંગરના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ આયોજક, શ્યામકાનુ મહંત પર ગંભીર આરોપો લગાવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને આપેલા પોતાના નિવેદનમાં સાક્ષી શેખર જ્યોતિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મેનેજર અને ફેસ્ટિવલ આયોજકે ઝુબીન ગર્ગને ઝેર આપ્યું હતું.
ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસમાં જોડાઈ SIT
ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. SITએ આ કેસમાં પૂછપરછ માટે 12 વ્યક્તિઓને નોટિસ ફટકારી હતી. હાલમાં સિંગરના મેનેજર, સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ આયોજક, શ્યામકાનુ મહંતની પણ પોલીસે ધરપકડ કરી હતી. બંનેને ગુવાહાટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હવે ઝુબીન ગર્ગના બેન્ડના સભ્ય શેખર જ્યોતિ ગોસ્વામીએ SITની પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે.










