બોલીવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરાના ફેન્સને થોડી રાહત મળી છે. 90 વર્ષીય અભિનેતાને શનિવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રેમ ચોપરાને લગભગ એક અઠવાડિયા પહેલા વાયરલ ચેપ અને ઉંમર સંબંધિત બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીતિન ગોખલેએ પ્રેમ ચોપરાના રજાના સમાચારની પુષ્ટિ કરી હતી.
આ બીમારીના કારણે કરવામાં આવ્યા હતા એડમિટ
પ્રેમ ચોપરાના પરિવારે પણ અભિનેતાના હોસ્પિટલમાંથી ઘરે પહોંચવાની પુષ્ટિ કરી. પ્રેમ ચોપરાની સારવાર લીલાવતી હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ નીતિન ગોખલેની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી. અગાઉ, લીલાવતી હોસ્પિટલના ડૉ. જલીલ પારકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને હૃદય રોગ અને વાયરલ ચેપ છે, તેથી હું તેમના ફેફસાંની સારવાર કરી રહ્યો છું. તેઓ ICUમાં નથી તેઓ વોર્ડમાં છે. તે સમયે, ડૉક્ટરે કહ્યું હતું કે તેઓ સ્વસ્થ થઈ જશે અને ત્રણથી ચાર દિવસમાં તેમને રજા આપવામાં આવશે.













