ભારતીય સંગીત જગતનો એક ઝળહળતો સિતારો કાયમ માટે અસ્ત થયો છે. 12 એપ્રિલ, 2026ના રોજ મેલોડી ક્વીન આશા ભોંસલેએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 92 વર્ષની વયે તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશ અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત બોલીવુડ સેલેબ્સે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમના અંતિમ સંસ્કાર આજે સોમવાર, 13 એપ્રિલના રોજ શિવાજી પાર્ક ખાતે સાંજે 4:00 વાગ્યે કરવામાં આવશે. દરમિયાન આશા તાઈના પુત્ર આનંદ ભોંસલે દ્વારા તેમના ચાહકોને ખાસ અપીલ કરવામાં આવી. તેમણે કહ્યું કે આશાજીને અંતિમ વિદાય આપવા સ્મશાન ગૃહમાં ભારે ભીડ ના ઉમટે તેનું ચાહકો ખાસ ધ્યાન રાખે.
આશા તાઈના પુત્ર આનંદ ભોંસલેની ચાહકોને અપીલ
આનંદ ભોંસલેએ એક મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે મારી માતા આશાજી મહાન ગાયિકા હતા. પરંતુ વય સંબંધિત બીમારીના કારણે 92 વર્ષ તેમનું અવસાન થયું છે. વધુમાં આશા તાઈના પુત્ર આનંદ ભોંસલેએ જણાવ્યું કે, ચાહકો અને હિતેચ્છુઓ આજે એટલે કે 13 એપ્રિલ, સોમવારના રોજ સવારે 10.30 થી બપોરે 2.00 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન 'કાસા ગ્રાન્ડે બિલ્ડિંગ' ખાતે પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકશે. પરિવાર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે ભીડને ધ્યાનમાં લેતા ચાહકો સ્મશાનભૂમિ પર આવવાનું ટાળે અને નિવાસસ્થાને જ શ્રદ્ધાંજલિ અર્પે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિનો વરસાદ થઈ રહ્યો છે. તેઓ ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતો દ્વારા તેઓ હંમેશા તેમના ચાહકોના હૃદયમાં જીવંત રહેશે.













