તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મયુર વાકાણી 'સુંદર'ની ભૂમિકામાં જોવા મળે છે. મયુર આ શોમાં દિશા વાકાણીના ભાઈની ભૂમિકા ભજવે છે. મયુર વાસ્તવિક જીવનમાં પણ દિશાનો ભાઈ છે. હવે તેણે શોમાં દિશાના પુનરાગમન અને નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી છે.


મયુર વાકાણીએ પોતાના પાત્ર 'સુંદર'ને લઈ કહી આ વાત

મયૂરે એક ઈન્ટરવ્યુંમાં નિવૃત્તિ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'લોકો સુંદરને એવી રીતે પસંદ કરે છે જાણે તે વાસ્તવિક આત્મા બની ગયો હોય. ગીતામાં લખ્યું છે કે આત્મા શરીર બદલી નાખે છે. તેવી જ રીતે, હવે સુંદરનું પાત્ર પણ આત્મા બની ગયું છે. જો એક દિવસ હું અહીં ન હોઉં અને કોઈ અન્ય અભિનેતા સુંદરની ભૂમિકા ભજવે તો પણ પાત્ર એ જ રહેશે. જો ભગવાન ઈચ્છે, તો હું સુંદર તરીકે નિવૃત્તિ લેવા માંગુ છું. ભગવાન બીજું જે કંઈ કરે હું તેના માટે આભારી છું.' આ સિવાય તેમણે કહ્યું હતું કે, 'જ્યારે મને પહેલી વાર આ ભૂમિકા મળી ત્યારે મને શંકા હતી કે હું તેને સારી રીતે કરી શકીશ કે નહીં. કારણ કે હું બાળપણથી જ તારક મહેતા વાંચીને મોટો થયો છું. નાની નાની વિગતો પણ તેમાં સુંદર રીતે કેદ કરવામાં આવી હતી.

દિશાના પુનરાગમન પર મયુરે પ્રતિક્રિયા આપી

મયુરે કહ્યું હતું કે, 'મને મારી બહેનનો પહેલો અભિનય યાદ છે તે ફક્ત 5 વર્ષની હતી. આટલી નાની હોવા છતાં દિશાએ ખૂબ જ સારો અભિનય કર્યો. તેણે 90 વર્ષની એક વૃદ્ધ મહિલાની ભૂમિકા ભજવી હતી જે ફક્ત દવા લેવા માટે આવતી હતી. તેની અંદરની વાસ્તવિક ચમક આ નાના રોલમાં દેખાઈ હતી. મેં 'તારક મહેતા'માં દિશાની સફરને નજીકથી જોઈ. હું તેનાથી બે વર્ષ મોટો છું. જ્યારે તમે પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ સાથે અભિનય કરો છો ત્યારે તમને ભગવાનના આશીર્વાદ મળે છે.'

લોકો તેને દયાની જેમ ખૂબ પ્રેમ કરે: મયુર

મયુર વાકાણીએ આગળ જણાવ્યું હતું કે, 'દિશાએ ખૂબ મહેનત કરી છે. એટલા માટે લોકો તેને દયાની જેમ ખૂબ પ્રેમ કરે છે. મારા પિતાએ હંમેશા એ માર્ગ બતાવ્યો છે કે જીવનમાં પણ આપણે અભિનેતા છીએ અને આપણને જે પણ ભૂમિકા મળે છે, આપણે તેને ગંભીરતાથી ભજવવી જોઈએ. આપણે હજુ પણ તેમના ઉપદેશોનું પાલન કરી રહ્યા છીએ. હાલમાં તે વાસ્તવિક જીવનમાં માતાની ભૂમિકા ભજવી રહી છે. તે આ ભૂમિકા સંપૂર્ણ સમર્પણ સાથે ભજવી રહી છે. હું જાણું છું કે આ વાત હંમેશા મારી બહેનના મનમાં હતી.'


  • Follow us on: