ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલીમાં મંગળવારે ભારે વરસાદને પગલે વાદળ ફાટવાની ઘટનાએ તબાહી મચાવી. ખીર ગંગાથી આવેલી તબાહીએ ધરાલીની અનેક હોટલો, ઘરો, રોડ રસ્તાઓને મલબામાં ફેરવ્યા. આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 70 લોકોના ગુમ થવાની માહિતી મળી રહી છે. આ આફત પર બોલીવુડની એક્ટ્રેસ સારા અલીખાન અને સોનુ સૂદ સહિત અનેક સેલેબ્સનું દર્દ છલકાયુ છે.

સોનૂ સૂદએ લખ્યું - દેશને એકજૂટ થવાનો સમય
સોનૂ સૂદે પોતાના X એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરીને લખ્યું છે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલા વિનાશક પૂર અને વાદળ ફાટવાના કારણે મન ખૂબ વ્યથિત છે. પ્રભાવિત દરેક વ્યક્તિ માટે મારી પ્રાર્થના. હવે સમગ્ર દેશને એક થવાનો સમય છે. સરકાર તેનું કાર્ય કરી રહી છે. પણ આપણે દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે ઊભા રહીને તેમને સહારો આપવો જોઈએ જેમણે પોતાનું ઘર, જીવન અને રોજગાર ગુમાવ્યા છે.

પ્રભાવિત લોકો માટે પ્રાર્થના
અભિનેત્રી સારા અલી ખાને પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઉત્તરકાશીમાં વાદળ ફાટવાને કારણે થયેલી વિનાશક ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મંગળવાર રાત્રે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે તેમણે ઈમરજન્સી સેવાઓ માટે જરૂરી નંબર પણ શેર કર્યા હતા.

ઈમરજન્સી નંબર શેર કર્યા
સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું: ઉત્તરાખંડની ઘટનાથી પ્રભાવિત દરેક લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. હું સૌની સલામતી માટે પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે પ્રભાવિત લોકોને વહેલામાં વહેલી તકે સારવાર મળે. એક અન્ય સ્ટોરીમાં તેમણે ઉત્તરકાશી જિલ્લાના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા બચાવ કામગીરી માટે આપવામાં આવેલા ઈમરજન્સી નંબરો પણ શેર કર્યા હતા.

  • Follow us on: