અભિનેતા વિજય દેવરકોંડા મુશ્કેલીમાં મુકાયા છે. આદિવાસી સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. તેમની સામે SC/ST એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે વિજય દેવરકોંડાએ કથિત રીતે એવા નિવેદનો આપ્યા હતા જેનાથી આદિવાસી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હતી.
આદિવાસી સમુદાય વિરુદ્ધ નિવેદન આપ્યું
સૂર્યાની ફિલ્મ 'રેટ્રો'ના પ્રી-રિલીઝ કાર્યક્રમ દરમિયાન વિજય દેવરકોંડાએ આદિવાસી સમુદાય વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આદિવાસી સમુદાયોની સંયુક્ત કાર્યવાહી સમિતિના રાજ્ય પ્રમુખ નેનાવથ અશોક કુમાર નાયકે વિજય દેવરકોંડા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે અભિનેતા પર આદિવાસી સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.
વિજય દેવેરાકોંડાએ માંગી માફી
વિજય દેવેરાકોંડાએ વિવાદ પર માફી માંગી કહ્યું છે કે, 'મને ખબર પડી છે કે રેટ્રો ઓડિયો લોન્ચ ઇવેન્ટ દરમિયાન મારા દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીથી કેટલાક લોકોમાં ચિંતા ફેલાઈ છે. હું નિષ્ઠાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું કે મારો કોઈ પણ સમુદાયને, ખાસ કરીને આપણા અનુસૂચિત જનજાતિઓને, જેમનો હું ખૂબ આદર કરું છું અને તેમને આપણા દેશનો અભિન્ન ભાગ માનું છું, નુકસાન પહોંચાડવાનો કે નિશાન બનાવવાનો કોઈ ઈરાદો નહોતો. હું એકતા વિશે વાત કરી રહ્યો હતો, ભારત કેવી રીતે એક છે, આપણા લોકો એક છે અને આપણે કેવી રીતે સાથે મળીને આગળ વધવું જોઈએ.'
વિજય દેવેરાકોન્ડાએ છેલ્લે લખ્યું હતું કે, 'જો મારા નિવેદનનો કોઈ ભાગ ગેરસમજ થયો હોય કે દુઃખ પહોંચાડ્યું હોય તો મને તેનો અફસોસ છે. મારો હેતુ શાંતિ, પ્રગતિ અને એકતા વિશે વાત કરવાનો હતો. હું મારા પ્લેટફોર્મનો ઉપયોગ ક્યારેય વિભાજન માટે નહીં પરંતુ ઉત્થાન અને એકીકરણ માટે કરવા માટે પ્રતિબદ્ધ છું.'