- નીતુ કપૂરે ડાન્સ શોમાં ઋષિ કપૂરની છેલ્લી ઈચ્છા જણાવી
- રણબીરના લગ્ન જોવા માંગતા હતા ઋષિ કપૂર
- ઋષિ કપૂરે 30 એપ્રિલ 2020ના રોજ આ દુનિયાને અલવિદા કહી
બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર હવે આ દુનિયામાં નથી પરંતુ તેમના પરિવાર અને ફેન્સે તેમને હજુ પણ તેમની યાદોમાં જીવંત રાખ્યા છે. ઋષિ કપૂરનો પરિવાર અવારનવાર તેમના વિશે કંઈક ને કંઈક શેર કરે છે. ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર વિશે અજાણી વાતો સાંભળીને ખુશ થઈ જાય છે. ઋષિ કપૂરે 30 એપ્રિલ 2020ના રોજ આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી હતી. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતુ કપૂર, પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર ઘણીવાર તેમના વિશે વાત કરતા જોવા મળે છે. એકવાર એક રિયાલિટી શોમાં નીતુ કપૂરે ઋષિ કપૂરની અંતિમ ઈચ્છા વિશે જણાવ્યું હતું. તેમની આ ઈચ્છા અધૂરી રહી હતી.
ઋષિ કપૂરના નિધન બાદ નીતુ કપૂર ફરી એકવાર કામ પર લાગી ગઈ છે અને તેણે એક ડાન્સ રિયાલિટી શો જજ કર્યો જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. નીતુ કપૂરે ડાન્સ દીવાને જુનિયરને જજ કર્યો હતો. જેના એક એપિસોડમાં તેણે ઋષિ કપૂરની અંતિમ ઈચ્છા જણાવી હતી.
રણબીરના લગ્ન જોવા માંગતા હતા ઋષિ કપૂર
શોમાં જ્યારે ઋષિ કપૂરની છેલ્લી ઈચ્છા વિશે પૂછવામાં આવ્યું તો નીતુએ કહ્યું હતું કે, ઋષિજીની છેલ્લી ઈચ્છા હતી કે મારા પુત્રના લગ્ન થાય અને હું રાહ જોઈ રહી હતી કે તેમની છેલ્લી ઈચ્છા પૂર્ણ થાય પંરતુ તેમણે આ ઈચ્છા ભગવાના ઘરેથી પૂર્ણ કરી હતી.
તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. રણબીર અને આલિયાના લગ્ન ઘરે જ થયા હતા. જેમાં પરિવાર અને કેટલાક ખાસ મિત્રોએ ભાગ લીધો હતો. રણબીર અને આલિયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે આ કપલ એક દીકરીના માતા-પિતા બની ગયું છે. રણબીર અને આલિયાની દીકરીનું નામ રાહા છે.
રાહા સાથે ઋષિ કપૂરનો ફોટો વાયરલ થયો
સોશિયલ મીડિયા પર કોઈએ ઋષિ કપૂર સાથે રાહાની એડિટેડ ફોટો શેર કરી હતી. આ ફોટામાં રાહા તેના દાદા ઋષિ કપૂરના ખોળામાં જોવા મળી રહી છે. આ ફોટો જોઈને કપૂર પરિવાર ભાવુક થઈ ગયો હતો. નીતુ કપૂર અને સોની રાઝદાને પણ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.