યુટ્યુબ શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સાથે જોડાયેલો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. મહારાષ્ટ્ર સાયબર સેલ આ કેસની તપાસ કરી રહ્યું છે. શોના તાજેતરના એપિસોડમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ટિપ્પણી બાદ વિવિધ રાજ્યોમાં 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સાથે સંકળાયેલા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સાયબર સેલે કહ્યું છે કે અમે શોના તમામ 18 એપિસોડની તપાસ કરી રહ્યા છીએ. આ 18 એપિસોડમાં જજ તરીકે ભાગ લેનારા અને અપશબ્દોનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શોમાં પ્રેક્ષકો તરીકે આવેલા લોકોના નિવેદનો પણ સાક્ષી તરીકે નોંધવામાં આવશે.

સાયબર સેલએ યુ ટ્યૂબને લખ્યો પત્ર
અધિકારીઓએ જણાવ્યું હતું કે શોમાં ભાગ લેનાર અને અપશબ્દોનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબને પત્ર લખીને કહ્યું છે કે આ શોના તમામ એપિસોડ, જેમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને ડિલીટ કરી દેવા જોઈએ. મહારાષ્ટ્ર સાયબર વિભાગે મંગળવારે ઇન્ડિયા'ઝ ગોટ લેટેન્ટ વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શોમાં અત્યાર સુધીમાં ભાગ લેનારા લગભગ 30 મહેમાનોને સમન્સ મોકલવામાં આવ્યા છે. રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સાયબર વિભાગે સ્વતઃ FIR નોંધી છે.

શોના બધા એપિસોડ દૂર કરવા પડશે
સાયબર સેલ વિભાગે આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને શોના તમામ 18 એપિસોડ દૂર કરવા જણાવ્યું છે. તપાસ દરમિયાન સાયબર વિભાગને જાણવા મળ્યું કે શોમાં ભાગ લઈ રહેલા મહેમાનો અને અન્ય સહભાગીઓએ 'અશ્લીલ અને અભદ્ર' ભાષાનો ઉપયોગ કર્યો હતો. આવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં શોના જજ અને મહેમાનોનો સમાવેશ થાય છે.

  • Follow us on: