• કંગના રનૌતે હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણીનું રણશિંગુ ફુંક્યું
  • ભાજપના બળવાખોર નેતાઓએ  કંગના સામે મોરચો ખોલ્યો
  • કંગનાના રોડ શો પછી ભાજપના 8 બળવાખોર નેતાઓની બેઠક 

હિન્દી સિનેમાંથી રાજકીય મેદાનમાં આવેલી અભિનેત્રી કંગના રનૌતે હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણીનું રણશિંગુ ફુંક્યું છે. શુક્રવારે મંડીની ગલીઓમાં રોડ શો કરતી વખતે કંગનાએ ભાજપ અને પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા હતા. જોકે, વિપક્ષના પલટવાર પહેલા ખુદ ભાજપના બળવાખોર નેતાઓએ કંગના સામે મોરચો ખોલી દીધો છે.

8 નેતાઓએ બેઠક યોજી

કંગનાના રોડ શો પછી ભાજપના 8 બળવાખોર નેતાઓએ બેઠક યોજી છે જેમાં ભાજપના પૂર્વ સાંસદના પુત્રનું નામ પણ સામેલ છે. આ બેઠકમાં મંડીના પૂર્વ ભાજપના સાંસદ મહેશ્વર સિંહના પુત્ર હિતેશ્વર સિંહે ભાગ લીધો છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ મહાસચિવ રામ સિંહ અને અનીના પૂર્વ ધારાસભ્ય કિશોરી લાલ સાગર પણ બેઠકમાં હાજર હતા.

ભાજપે ત્રણેય નેતાઓને ટિકિટ ન આપી 

ભાજપના ત્રણ નેતાઓએ 2022થી બળવાખોર સ્વર અપનાવ્યો હતો. હકીકતમાં હિમાચલ વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાઈ હતી. આ દરમિયાન ભાજપે ત્રણેય નેતાઓને ટિકિટ આપી ન હતી ત્યારબાદ ત્રણેય અપક્ષ ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. રામ સિંહ કુલ્લુ સદર વિધાનસભા બેઠક પરથી, હિતેશ્વર સિંહ બંજર વિધાનસભા બેઠક પરથી અને કિશોરી લાલ અનીથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં ત્રણેયની હાર થઈ હતી.

ઘણા નેતાઓ સાંસદની રેસમાં હતા

ભાજપના ઘણા નેતાઓ આગામી સામાન્ય ચૂંટણીમાં ટિકિટ મેળવવાની આશા રાખતા હતા. આ યાદીમાં ભાજપના પૂર્વ સાંસદ મહેશ્વર સિંહ અને બ્રિગેડિયર ખુશાલ ઠાકુરના નામ સામેલ હતા. પરંતુ ભાજપે તમામ દિગ્ગજ નેતાઓને સાઈડલાઈન કરીને કંગના રનૌતને મંડીમાંથી ઉમેદવાર બનાવ્યા ત્યારબાદ તમામ નેતાઓએ બળવાખોર વલણ દાખવવાનું શરૂ કરી દીધું છે.

જયરામ ઠાકુરે સમજાવવાનો પ્રયાસ કર્યો

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે નારાજ નેતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જયરામ ઠાકુર પૂર્વ સાંસદ મહેશ્વર સિંહને પણ મળ્યા હતા. પરંતુ આ બેઠકમાંથી કોઈ ચોક્કસ પરિણામ બહાર આવ્યું નથી. આથી ભાજપના 8 બળવાખોર નેતાઓએ બેઠક યોજી હતી અને હવે બધાએ મળીને કંગના સામે મોરચો ખોલવાની તૈયારી કરી લીધી છે.

  • Follow us on: