દેશભરમાં ખાંડના વધતા ભાવ હવે સામાન્ય ગ્રાહકથી લઈને ચાની લારી, હોટલ, મીઠાઈ-ફરસાણના વેપારીઓ અને ડેરી ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બન્યા છે. છેલ્લા એકથી દોઢ મહિનામાં જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ અંદાજે રૂ.1,800 સુધીનો ઉછાળો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. કેટલાક બજારોમાં રૂ.4,200 પ્રતિ ક્વિન્ટલની આસપાસ રહેલી ખાંડ હવે રૂ.5,900થી રૂ.6,000 સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ છૂટક બજારમાં ખાંડ હાલ 70થી 75 રુપિયે પ્રતિ કિલો સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ખાંડના ભાવનું ગણિત 

આ સમગ્ર મામલામાં માત્ર એક કારણ જવાબદાર નથી. હવામાનની અનિશ્ચિતતા, બજારમાં ઉપલબ્ધ સ્ટોકમાં ઘટાડો, તહેવારો પહેલાં વધતી માંગ, વેપારીઓ દ્વારા વધારાનો જથ્થો રાખવાની વૃત્તિ, ઇથેનોલ તરફ શેરડીના ઉપયોગ અને ઉત્પાદન ખર્ચમાં વધારો—આ તમામ પરિબળો મળીને ખાંડના ભાવનું ગણિત બદલી રહ્યા છે.

Sugar Prices Rise Up to 40% Before Festivals: Key Reasons Behind the Sharp Hike

બજારમાં ઉપલબ્ધ ખાંડનો જથ્થો ઘટ્યો

ખાંડના ભાવવધારા પાછળનું સૌથી મોટું કારણ બજારમાં ઉપલબ્ધ સ્ટોકની તંગી માનવામાં આવી રહી છે. ઉત્પાદનના કુલ આંકડા અને બજારમાં તરત ઉપલબ્ધ ખાંડના જથ્થા વચ્ચે મોટો ફરક હોય છે. એટલે દેશમાં શેરડીનું ઉત્પાદન વધે તે છતાં મિલો પાસેથી બજારમાં ખાંડનો પુરવઠો પૂરતો ન આવે તો ભાવ વધી શકે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર અગાઉ બજારમાં રોજના અંદાજે 150થી 200 ટ્રક ખાંડની આવક થતી હતી. હાલમાં આ આવક ઘટીને અંદાજે 50થી 90 ટ્રક સુધી પહોંચી હોવાનું કહેવાય છે. એટલે કે બજારમાં આવતી ખાંડની માત્રામાં ઘટાડો થતાં માંગ સામે પુરવઠો નબળો પડ્યો છે અને તેની સીધી અસર ભાવ પર થઈ રહી છે.

Sugar Prices Rise Up to 40% Before Festivals: Key Reasons Behind the Sharp Hike

વરસાદ અને હવામાનની અનિશ્ચિતતા

શેરડી પાણી આધારિત પાક છે. તેથી વરસાદમાં વિલંબ, અનિયમિત વરસાદ અથવા સૂકા હવામાનની સ્થિતિ શેરડીના પાક અને તેની ગુણવત્તા પર અસર કરી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાવાની સ્થિતિ અને પાકને લઈને અનિશ્ચિતતાએ આગામી ઉત્પાદન અંગે પણ ચિંતા વધારી છે. જોકે સમગ્ર દેશના શેરડી ઉત્પાદનના સરકારી અંદાજોમાં વધારો દર્શાવવામાં આવ્યો છે, તેમ છતાં બજારમાં તાત્કાલિક ઉપલબ્ધ ખાંડનો સ્ટોક ઓછો હોય તો ભાવ વધી શકે છે. એટલે હાલની મોંઘવારીને માત્ર “શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે” એમ કહીને સમજાવી શકાય તેમ નથી.

ખરેખર સમસ્યા કુલ ઉત્પાદન કરતાં બજારમાં કેટલો જથ્થો ઉપલબ્ધ છે તેની છે.

તહેવારોની સિઝન અને વધતી માંગ

ઓગસ્ટથી નવેમ્બરનો સમયગાળો ખાંડ માટે મહત્વપૂર્ણ ગણાય છે. ગણેશોત્સવ, દશેરા, દિવાળી સહિતના તહેવારોમાં મીઠાઈ, પ્રસાદ, બેકરી, ફરસાણ અને અન્ય ખાદ્ય ઉત્પાદનો માટે ખાંડની માંગ વધે છે. જ્યારે બજારમાં પહેલેથી જ પુરવઠાની તંગી હોય અને સામે તહેવારી માંગમાં વધારો થાય ત્યારે ભાવમાં ઝડપી ઉછાળો આવવો સ્વાભાવિક છે. મુંબઈ સહિતના કેટલાક બજારોમાં એક જ સપ્તાહમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ.8 સુધીનો વધારો નોંધાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

આ વધતા ભાવનો ભાર હવે માત્ર ઘરેલુ ગ્રાહકો પર નહીં, પરંતુ મીઠાઈ ઉત્પાદકો, ચાની હોટલો, બેકરી અને ડેરી ઉદ્યોગ પર પણ પડી શકે છે.

વેપારીઓ અને મોટા ખરીદદારોનું સ્ટોકિંગ

ભાવ વધુ વધશે તેવી આશંકા હોય ત્યારે વેપારીઓ અને મોટા વપરાશકારો વધારે ખાંડનો જથ્થો ખરીદીને સંગ્રહ કરી લેતા હોય છે. પરિણામે ખુલ્લા બજારમાં ઉપલબ્ધ જથ્થો વધુ ઘટી શકે છે.

Sugar Prices Rise Up to 40% Before Festivals: Key Reasons Behind the Sharp Hike

ખાંડનો સ્ટોક રાખવાની મર્યાદા ઘટાડાઇ

સરકારને પણ આ સ્થિતિની ચિંતા હોવાનું તેના તાજેતરના પગલાં પરથી સ્પષ્ટ થાય છે. મોટા વપરાશકારો માટે ખાંડનો સ્ટોક રાખવાની મર્યાદા 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ બજારમાં કૃત્રિમ તંગી ઊભી ન થાય અને વધુ પડતા સંગ્રહને રોકી શકાય તેવો છે. એટલે ભાવવધારા પાછળ ઉત્પાદનનો પ્રશ્ન જેટલો મહત્વનો છે, એટલી જ મહત્વની બાબત બજારમાં જથ્થાની અવરજવર અને સ્ટોકિંગ પણ છે.

ઇથેનોલ તરફ શેરડીનો ઉપયોગ

ખાંડના ભાવવધારા અંગે સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ઇથેનોલનો છે. શેરડીનો રસ, સિરપ અને મોલાસિસનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે થઈ શકે છે. પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાની સરકારી નીતિને કારણે ઇથેનોલ ઉત્પાદનનું મહત્વ પણ વધ્યું છે. વેપારીઓના કેટલાક અંદાજ મુજબ ગત સિઝનમાં આશરે 30 લાખ ટન જેટલો ખાંડ સમકક્ષ જથ્થો ઇથેનોલ ઉત્પાદન તરફ ડાયવર્ટ થયો હતો. આ ઉપરાંત ખાંડની નિકાસ પણ થઈ હતી. પરંતુ ખાંડ મોંઘી થવા માટે માત્ર ઇથેનોલને જ જવાબદાર ગણાવવું યોગ્ય નહીં હોય. ઇથેનોલ તરફ ડાયવર્ઝન, ઓછો ઉપલબ્ધ સ્ટોક, હવામાન, તહેવારી માંગ અને બજારમાં જથ્થાની ગતિ—આ બધા પરિબળો એકસાથે ભાવ પર અસર કરી રહ્યા છે.

શેરડીનો વધતો ખર્ચ અને FRPમાં વધારો

શેરડી ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવતો FRP પણ ખાંડના ભાવના ગણિતમાં મહત્વનો છે. 2025-26ની સિઝન માટે શેરડીનો FRP રૂ.355 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો હતો. આગામી 2026-27 સિઝન માટે તેને વધારીને રૂ.365 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. શેરડીની ખરીદી કિંમત વધે એટલે ખાંડ મિલોની ઉત્પાદન કિંમત પર પણ અસર પડે છે. વીજળી, પરિવહન, મજૂરી અને અન્ય ખર્ચ સાથે મળીને આ પરિબળ લાંબા ગાળે ખાંડના ભાવ પર દબાણ ઊભું કરી શકે છે.

સુરતના વેપારીએ શું કહ્યું?

આ મામલે સુરતના ખાંડ વેપારી દશરથભાઈ મલ્હારે સંદેશ ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં ખાંડના ભાવમાં અસામાન્ય ઝડપે વધારો થયો છે. તેમના જણાવ્યા મુજબ, “બે-પાંચ રૂપિયા નહીં, પરંતુ સવારે, બપોરે અને સાંજે પણ ભાવ બદલાતા હોય તેવી સ્થિતિ છે. 15 દિવસમાં ભાવ આટલો મોટો કૂદકો મારશે તેની કલ્પના પણ નહોતી.” તેમણે બજારમાં મિલોનો ઉપલબ્ધ સ્ટોક ઓછો હોવાનું અને નવા ઉત્પાદનની રાહ જોવાઈ રહી હોવાનું પણ જણાવ્યું. વેપારીઓ માટે વધતા ભાવે ખરીદી કરવી મુશ્કેલ બની રહી હોવાનું જણાવતાં તેમણે સરકાર તરફથી અસરકારક પગલાં લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.

Sugar Prices Rise Up to 40% Before Festivals: Key Reasons Behind the Sharp Hike

સરકાર હવે શું કરી રહી છે?

વધતા ભાવને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે બજારમાં પુરવઠો વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે. 20 ઓગસ્ટે સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. આ પગલાંનો મુખ્ય હેતુ સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો વધારવાનો અને ભાવ પરનું દબાણ ઘટાડવાનો છે.

સરકાર દ્વારા લેવામાં આવેલા મુખ્ય પગલાં 

મોટા ખરીદદારો માટે ખાંડનો સ્ટોક 30 દિવસથી ઘટાડીને 15 દિવસ સુધી મર્યાદિત કરાયો.

બજારમાં વધારાનો પુરવઠો લાવવા 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી.

મિલો અને બજાર વ્યવહારો પર વધુ નજીકથી નજર રાખવાના પ્રયાસો.

જથ્થાબંધ સંગ્રહ અને કૃત્રિમ તંગી અટકાવવા નિયંત્રણાત્મક પગલાં.

Sugar Prices Rise Up to 40% Before Festivals: Key Reasons Behind the Sharp Hike

ચા, મીઠાઈ અને ફરસાણ પણ મોંઘાં થશે?

ખાંડના ભાવમાં વધારો માત્ર રસોડા સુધી સીમિત રહેવાનો નથી. ચાની હોટલો, મીઠાઈની દુકાનો, બેકરી, ફરસાણ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગ માટે ખાંડ મહત્વનો કાચો માલ છે. દિવાળી પહેલાં મીઠાઈનું ઉત્પાદન વધતું હોય છે. જો ખાંડનો ભાવ રૂ .70 પ્રતિ કિલોની આસપાસ પહોંચે તો મીઠાઈના ભાવમાં વધારો થવાની શક્યતા વધી શકે છે. એટલે સામાન્ય ગ્રાહકને હવે માત્ર એક કિલો ખાંડ માટે વધારે કિંમત ચૂકવવાની નહીં, પરંતુ ખાંડથી બનતી અન્ય વસ્તુઓ માટે પણ વધુ ખર્ચ કરવો પડી શકે છે.

આખરે સૌથી મોટો સવાલ: ઉત્પાદન વધે છતાં ખાંડ મોંઘી કેમ?

આ સમગ્ર ઘટનાક્રમ એક મહત્વની વાત સ્પષ્ટ કરે છે—ખાંડના ભાવ નક્કી કરવામાં માત્ર શેરડીનું કુલ ઉત્પાદન જ જવાબદાર નથી. મિલોમાં કેટલો સ્ટોક છે, બજારમાં રોજ કેટલી ખાંડ આવી રહી છે, કેટલો જથ્થો ઇથેનોલ તરફ જાય છે, કેટલો જથ્થો વેપારીઓ પાસે અટકેલો છે અને તહેવારોને કારણે માંગ કેટલી વધી રહી છે—આ તમામ બાબતો ભાવ નક્કી કરે છે. હાલની સ્થિતિમાં સૌથી મોટી ચિંતા “ઉત્પાદન ઓછું છે કે નહીં?” તેના કરતાં “બજારમાં પૂરતી ખાંડ ઉપલબ્ધ છે કે નહીં?” તેની છે.

સામાન્ય ગ્રાહક માટે ચિંતાનો વિષય 

તહેવારો પહેલાં ખાંડનો સ્વાદ કડવો બન્યો છે. છેલ્લા દોઢ મહિનામાં જથ્થાબંધ બજારમાં રૂ.1,800 પ્રતિ ક્વિન્ટલ સુધીનો ઉછાળો અને છૂટક બજારમાં રૂ 70 થી 75 પ્રતિ કિલો સુધી પહોંચેલા ભાવ સામાન્ય ગ્રાહક માટે ચિંતાનો વિષય છે. હવે સરકારની 10 લાખ ટન ડ્યૂટી-ફ્રી આયાત, સ્ટોકિંગ પર નિયંત્રણ અને આગામી નવી ખાંડ સિઝન બજારને કેટલી રાહત આપે છે તેના પર સૌની નજર રહેશે. જો બજારમાં પુરવઠો ઝડપથી નહીં વધે અને તહેવારી માંગ વધુ મજબૂત બને તો ખાંડના ભાવમાં હજુ વધારો થવાની દહેશત નકારી શકાય તેમ નથી.  


આ પણ વાંચો :   Bhavnagarમાં પીધો ઝેરી દારૂ, સુરત પહોંચ્યા બાદ યુવક બ્રેઇન ડેડ જાહેર