દેશમાં હાલના સમયે ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને છૂટક બજારમાં ભાવ આશરે 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા છે. સ્થાનિક બજારમાં અછતને પહોંચી વળવા સરકાર વિદેશથી ખાંડની આયાત કરવા પર પણ વિચાર કરી રહી છે.
નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ શુગર ફેક્ટરીઝના જણાવ્યા મુજબ, ખાંડનો પહેલો જથ્થો 15 ઓક્ટોબર પહેલા ભારત પહોંચી શકે છે. આ જ સમયે સરકાર ઈથેનોલ બ્લેન્ડિંગ પર પણ વધુ ભાર મૂકી રહી છે, જેના કારણે સામાન્ય લોકોના મનમાં એ ઉત્સુકતા છે કે, 1 ક્વિન્ટલ શેરડીમાંથી આખરે કેટલી ખાંડ અને કેટલું ઈથેનોલ તૈયાર થઈ શકે.
1 ક્વિન્ટલ શેરડીમાંથી કેટલી ખાંડ બને છે?
સામાન્ય રીતે 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલો શેરડીમાંથી આશરે 9 થી 12 કિલો સુધીની ખાંડ પ્રાપ્ત થાય છે. ખાંડનું આ પ્રમાણ શુગર મિલના રિકવરી રેટ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મિલનો રિકવરી રેટ 10% હોય, તો ત્યાં 100 કિલો શેરડીમાંથી 10 કિલો ખાંડ તૈયાર થશે. જોકે, આ રિકવરી દર સમગ્ર પિલાણ સીઝન દરમિયાન એકસમાન રહેતો નથી.

સીઝન અનુસાર રિકવરી રેટમાં થતો ફેરફાર
પિલાણના શરૂઆતના તબક્કામાં એટલે કે નવેમ્બર મહિનામાં શેરડીમાં મિઠાશનું પ્રમાણ ઓછું હોય છે, જેથી શરૂઆતના દિવસોમાં ખાંડની રિકવરી 7 થી 8 કિલો પ્રતિ ક્વિન્ટલ રહે છે, પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની કડકતી ઠંડીમાં શેરડીનો રસ સંપૂર્ણપણે પાકી જાય છે, જેથી રિકવરી વધીને 10 થી 11 કિલો સુધી પહોંચી જાય છે. ખાંડ ઉપરાંત પિલાણ દરમિયાન શેરડીમાંથી બે વધારાની પેટા-પેદાશો પણ મળે છે - સુકી ખોઈ અને ઘટ્ટ શીરો.

શેરડીમાંથી ખાંડ બનાવવાનો પ્રોસેસિંગ ખર્ચ
કારખાનાઓમાં શેરડીમાંથી ખાંડ તૈયાર કરવાની પ્રક્રિયા મુખ્યત્વે 5 તબક્કામાં પૂર્ણ થાય છે. જેમાં પેરાઈ, રસની સફાઈ, બાષ્પીભવન, ક્રિસ્ટલાઈઝેશન, અને અલગ કરવું તથા સુકવવુંની પ્રક્રિયાનો સમાવેશ થાય છે . વ્યાવસાયિક સ્તરે 1 ક્વિન્ટલ ખાંડ તૈયાર કરવાનો કુલ પ્રોસેસિંગ ખર્ચ આશરે 3,500 થી 3,600 રૂપિયાની વચ્ચે આવે છે.

1 ક્વિન્ટલ શેરડીમાંથી કેટલું ઈથેનોલ મળે?
ઈથેનોલ બનાવવાની ક્ષમતા એ વાત પર આધાર રાખે છે કે, કયા કાચા માલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો શેરડીના સીધા રસમાંથી જ ઈથેનોલ બનાવવામાં આવે તો 1 ક્વિન્ટલ શેરડીમાંથી આશરે 7 થી 8.4 લીટર શુદ્ધ ઈથેનોલ તૈયાર થઈ શકે છે (એટલે કે 1 ટન શેરડીમાંથી 70 થી 84 લીટર).
શીરાના વિવિધ તબક્કા અને ઈથેનોલનું ગણિત
જો ખાંડ બનાવ્યા બાદ બચેલા B- હેવી શીરાનો ઉપયોગ કરીને ઈથેનોલ મેળવવામાં આવે, તો 1 ક્વિન્ટલ શેરડીમાંથી આશરે 2.2 થી 2.5 લીટર ઈથેનોલ મળે છે. આનાથી વિપરીત, સૌથી છેલ્લા તબક્કાના C-હેવી શીરામાંથી ઈથેનોલ બનાવવામાં આવે તો પ્રતિ ક્વિન્ટલ માત્ર 1 થી 1.1 લીટર જેટલું જ ઈથેનોલ પ્રાપ્ત થાય છે.
ઈથેનોલ નિર્માણની ટેકનોલોજી અને ઉત્પાદન ખર્ચ
ઈથેનોલ બનાવવાની પ્રક્રિયા ખાંડ કરતાં અલગ હોય છે. તેમાં શેરડીની પેરાઈ કરીને રસ કાઢ્યા બાદ તેમાં વિશેષ ઈસ્ટ ભેળવવામાં આવે છે. આ આથો આવવામાં 1 થી 3 દિવસનો સમય લાગે છે. ત્યારબાદ ડિસ્ટિલેશન અને ડિહાઇડ્રેશન પ્રક્રિયા દ્વારા 99.5% શુદ્ધ ફ્યુઅલ-ગ્રેડ ઈથેનોલ તૈયાર થાય છે. ખર્ચની વાત કરીએ તો, શેરડીનો FRP દર આશરે 330 થી 365 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય છે. મોટી ડિસ્ટિલરીમાં પ્રતિ લીટર ઈથેનોલ બનાવવાનો વીજળી, કેમિકલ અને લેબર ખર્ચ 20 થી 30 રૂપિયા આવે છે. પ્લાન્ટ સ્થાપવામાં કરોડો રૂપિયાનું રોકાણ જરૂરી હોવાથી નાના કે ઘરેલું સ્તરે આ ઉત્પાદન શક્ય નથી.
તમને જણાવી દઈએ કે, ઈથેનોલ બ્લેન્ડિંગ એટલે કે E20 પોલિસી હેઠળ પેટ્રોલમાં 20% ઈથેનોલ ભેળવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવી, કાર્બન ઉત્સર્જન ઓછું કરવું અને દેશના સુગર ઉદ્યોગને નાણાકીય રીતે આત્મનિર્ભર બનાવવાનો છે.

અફવાઓથી વધેલા ભાવ ટૂંક સમયમાં થશે સામાન્ય
દેશમાં ખાંડના વધતા ભાવ અને અછત અંગેની અફવાઓ વચ્ચે શુગર મિલ સંસ્થાએ સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, ભારતમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને તાજેતરમાં ભાવમાં આવેલો ઉછાળો માત્ર પનિક બાઇંગ (ઘભરાટમાં થયેલી ખરીદી) અને ભ્રામક અફવાઓનું પરિણામ છે.
સંસ્થાએ ઈથેનોલ ઉત્પાદનના લીધે ખાંડની અછત સર્જાઈ હોવાના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે, કારણ કે 1 ક્વિન્ટલ શેરડીમાંથી મળતી 9 થી 12 કિલો ખાંડ અને બાય-પ્રોડક્ટ તરીકે મળતા B-હેવી શીરામાંથી બનતું 2.2 થી 2.5 લીટર ઈથેનોલ બંનેનું ઉત્પાદન સંતુલિત રીતે સંચાલિત થાય છે; આથી સરકારના સકારાત્મક પ્રયાસોના લીધે આગામી તહેવારો પર તેની કોઈ વિપરીત અસર નહીં પડે અને ખાંડના ભાવ ટૂંક સમયમાં જ પૂર્વવત્ સામાન્ય થઈ જશે.
શુગર મિલોની કમાણી પર સકારાત્મક અસરો
- સ્થિર અને વર્ષભરનો રોકડ પ્રવાહ - પરંપરાગત રીતે શુગર મિલો માત્ર પિલાણની સીઝન (નવેમ્બરથી એપ્રિલ) દરમિયાન જ કમાણી કરતી હતી. ઈથેનોલના ઉત્પાદન અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને તેના સપ્લાયથી મિલોને આખા વર્ષ દરમિયાન નિયમિત આવક મળે છે.
- વધારાની ખાંડનું ડાયવર્ઝન - ભારતમાં જરૂરિયાત કરતાં વધુ ખાંડના ઉત્પાદનને કારણે સ્થાનિક બજારમાં ભાવ ગગડી જતા હતા. E20 નીતિ હેઠળ શેરડીના રસ, સિરપ અને B-હેવી મોલાસીસનો સીધો ઈથેનોલ બનાવવા માટે ઉપયોગ થતાં ખાંડનો બિનજરૂરી સ્ટોક ઘટે છે અને ખાંડના ભાવ સ્થિર રહે છે.
- ઉચ્ચ પ્રોફિટ માર્જિન - ખાંડના વેચાણની સરખામણીએ ઈથેનોલનું વેચાણ વધુ નફાકારક છે. સરકાર દ્વારા ઈથેનોલના કન્ટેન્ટ-વાઈઝ (Juice, B-Heavy, C-Heavy) અલગ-અલગ અને આકર્ષક ભાવ નક્કી કરવામાં આવે છે, જેનાથી મિલોના માર્જિનમાં સુધારો થયો છે.
- વર્કિંગ કેપિટલ અને વ્યાજ ખર્ચમાં ઘટાડો - ઓઈલ કંપનીઓ તરફથી ઈથેનોલના સપ્લાયનું ચુકવણું 15 થી 21 દિવસમાં થઈ જાય છે. ઝડપી ચુકવણીને કારણે મિલોને બેંકમાંથી લેવી પડતી કાર્યકારી મૂડી અને તેના પર ચડતા વ્યાજના બોજમાં મોટો ઘટાડો થયો છે.
- ખેડૂતોના લેણાંની સમયસર ચૂકવણી - મિલો પાસે લિક્વિડિટી (રોકડ) જળવાઈ રહેતી હોવાથી શેરડી પકવતા ખેડૂતોને એફઆરપી મુજબ સમયસર નાણાં ચૂકવી શકાય છે, જેનાથી મિલો પરનો બાકી લેણાંનો આર્થિક અને રાજકીય બોજ ઘટે છે.
- મલ્ટી-ફીડ ડિસ્ટિલરીઝનો વિકાસ - પોલિસીના પ્રોત્સાહનને કારણે શુગર મિલો હવે સીઝન પૂરી થયા પછી મકાઈ કે તૂટેલા ચોખાનો ઉપયોગ કરીને પણ ઈથેનોલ બનાવી રહી છે, જેનાથી પ્લાન્ટની કાર્યક્ષમતા વધે છે.
મુખ્ય પડકારો અને મર્યાદાઓ
નીતિગત અનિશ્ચિતતા - નબળા ચોમાસા કે ઓછા ઉત્પાદનના વર્ષોમાં ખાદ્ય સુરક્ષા અને ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકાર ક્યારેક શેરડીના રસમાંથી ઈથેનોલ બનાવવા પર અંકુશ મૂકે છે, જે મિલોના આયોજનને અસર કરે છે.
પ્રારંભિક મૂડી રોકાણ - નવી ડિસ્ટિલરી સ્થાપવા અથવા હયાત ક્ષમતા વધારવા માટે મોટા પાયે પ્રારંભિક મૂડી રોકાણની જરૂર પડે છે.
E20 પોલિસીએ ભારતીય સુગર મિલોને માત્ર સીઝનલ ખાંડ ઉત્પાદકમાંથી વર્ષભર કમાણી કરતી "બાયો-રિફાઇનરી" માં રૂપાંતરિત કરી છે.
આ પણ વાંચો - Kanda Express: ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા, હવે શહેર શહેર દોડશે કાંદા એક્સપ્રેસ
