
ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીની 101મી જયંતી એટલે કે 'સુશાસન દિવસ'ના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ અટલજીને ભાવવંદના કરી હતી અને જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલ એ 'વિરાસત ભી, વિકાસ ભી'ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના લોકપ્રિય અને વિશ્વવિખ્યાત એવા સાત દિવસીય કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં એએમસી દ્વારા અમદાવાદને કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, શોપિંગ ફેસ્ટિવલ, ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ સહિતના અનેક આકર્ષણો ભેટ મળ્યાં છે.

કાંકરિયા કાર્નિવલ 'વિરાસત ભી, વિકાસ ભી'ના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ જેવા આયોજનોથી રિક્રીએશનલ ટ્રાન્સફોર્મેશન થયું છે તેવું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તથા અમદાવાદ વિકાસ સત્તામંડળના અંદાજે 526 કરોડથી વધારેના 109 વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરિયાની કાયા પલટ કરીને અમદાવાદીઓને આનંદ અને ઉલ્લાસ મળી રહે એ માટે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવી હતી, જે પરંપરા આજે પણ સતત ચાલુ છે.

કાંકરિયા કાર્નિવલના પ્રારંભે યોજવામાં આવેલી કાર્નિવલ પરેડ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરેડની થીમ લોકલ ટુ ગ્લોબલ હતી.