
આજે દેવ દિવાળીનું પર્વ છે ત્યારે પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે માઇ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. લાખોની સંખ્યામાં માઇ ભક્તોએ આજે માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો.

અંબાજી મંદિરમાં પૂનમે દર્શન કરવાનું અનેરુ મહત્વ છે અને દેવ દિવાળી પર્વે મંગળા આરતીમાં ભક્તો જોડાવા માટે વહેલી સવારથી 4 વાગે લાઈનમાં જોડાતા મંદિર ખાતે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.

મંદિરના ચાચર ચોકમાં લાઈન છેક શક્તિદ્વાર સુધી જોવા મળી હતી. ભક્તો સંઘ લઈને ધજા લઈને માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને મંદિરના ચાચરચોકમાં ગરબે ઘૂમ્યા હતા.35 વર્ષથી સંઘ લઈને પણ ભક્તો મંદિર આવ્યા હતા અને દેવ દિવાળી પર્વ મંદિર ખાતે ગરબા રમીને ઉજવ્યો હતો.

આજે દેવ દિવાળી પર્વ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દિવાળીના પંદર દિવસ બાદ દેવ દિવાળી પર્વ આવતો હોય છે.કાર્તિક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તો જોડાયા હતા.અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ના શિખર ઉપર 358 નાના મોટા સુવર્ણ શિખર લાગેલા છે.

અંબાજી ખાતે ભક્તો હાલમાં દિવાળી પર્વમાં મોટી સંખ્યામાં આવતા મંદિર ખાતે પણ ભંડારાની પણ આવક વધવા પામી હતી. તહેવારોમાં લાખોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.